- મા નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા આસ્થા-શ્રાદ્ધાની સાથે
- દરરોજ હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ સહિત શ્રાદ્ધાળુઓ લેતા નિજાનંદનો લાભ
- નર્મદાની મહાઆરતી પ્રવાસી અને શ્રાધ્ધાળુમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની
માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા આસ્થા-શ્રાધ્ધાની સાથે-સાથે ભાવિક શ્રાધ્ધાળુઓ સ્ટેચ્યુ ઓફ્ યુનિટી રેવાના તીરે આયોજીત થતી માઁ નર્મદાની સાંધ્ય દૈનિક મહાઆરતીનો ભક્તિ ભાવ સાથે નિજાનંદ લાભ લઇ રહ્યા છે. પરિક્રમાવાસીઓ રોજ સાંજે શૂલપાણેશ્વર મંદિર ગોરા ઘાટ ખાતે યોજાતી માં નર્મદાની મહાઆરતીનો મોટી સંખ્યામાં લાભ પણ લઇ રહ્યા છે
ચૈત્ર સુદ એકમથી શરૂ થયેલી પુણ્યસલીલા માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો રામપરા રણછોડરાયના મંદિરથી તિલકવાડા શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, કીડી મંકોડી ઘાટે પરિક્રમા પૂર્ણ કરીને ધન્યતા અનુભવે છે. તેની સાથે-સાથે એક પંથ- દો કાજની ભૂમિકા અદા કરીને સ્ટેચ્યુ ઓફ્ યુનિટી ખાતે આયોજીત માં નર્મદાની સંધ્યા મહાઆરતીનો પણ બહોળી સંખ્યામાં ભાવિક શ્રાધ્ધાળુઓ લાભ લઇ રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ્ યુનિટી નજીક ગોરા ગામ સ્થિત નર્મદા કિનારે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી સત્તામંડળ અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુકતપણે આદ્યાત્મિક વાતાવરણમાં માં નર્મદાની મહાઆરતીનું સુંદર આયોજન પરિક્રમાવાસીઓ-પ્રવાસીઓની ઉપસ્થિતિમાં હ્રદયભાવ સાથે કરવામાં આવી રહ્યું છે. જેનો લાભ ભક્તિભાવ આનંદ ઉલ્લાસ નિજાનંદ સાથે આબાલ વૃધ્ધ સૌ લઇ રહ્યા છે. નર્મદે સર્વદે સૌને સુખ દે, નર્મદે હર હરનો માન ભેર નારો પોકારી લાભ લઇ ધન્યતા અનુભવી રહ્યાં છે.
છેલ્લા ત્રણ વર્ષથી માં નર્મદાની મહાઆરતી પ્રવાસી અને શ્રાધ્ધાળુમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે, માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા કરવા આવતા શ્રાધ્ધાળુઓ પણ હવે આ સાંધ્ય આરતીની ખબર પડતા નર્મદા પરિક્રમાના આરંભ પહેલા અથવા પછી માં નર્મદાની મહાઆરતીમાં ભાગ લઇને પાવન અવસરે પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યાં છે. નર્મદા મહાઆરતીમાં ભાગ લેતા ભક્તોમાં આધ્યાત્મિક ઉર્જાનો એક નવો સંચાર કરવા માટે ભક્તિમય ગીતો-ભજનો અને માં નર્મદાની આરતી અને નર્મદા અષ્ટકની સંગીતમય રજુઆત કરવામાં આવી રહી છે. જે લોકોને ખૂબજ પસંદ આવી રહી છે. અને ખૂબજ સારો લોક પ્રતિસાદ મળી રહ્યો છે. માં નર્મદાની વંદના દેશ-વિદેશના લોકો વિશ્વ પ્રવાસન સ્થળે આવીને કરી રહ્યા છે જે નર્મદા જિલ્લા માટે ગૌરવ અને આનંદની ઘટના છે. SOUના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યુ હતુ કે, હાલમાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું ભક્તિ પર્વ ચાલી રહ્યું છે. જે લોકો સંપૂર્ણ નર્મદા પરિક્રમા કરી શકતા નથી તેઓ પંચકોષી પરિક્રમા કરી સંપૂર્ણ પરિક્રમાનું ફ્ળ અને અનન્ય આનંદ પામે છે.


