- ત્રીજા તબક્કાના મતદાન માટે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ
- તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર
- સુરતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતનું પ્રથમ કમલ આપ્યું: સી.આર.પાટીલ
સુરત બેઠક પર કોંગ્રેસનું ફોર્મ રદ્દ થયા બાદ અન્ય તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સુરત બેઠક પર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. બિનહરીફ જાહેર થતાં સુરત કલેક્ટરે મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપ્યું હતું. બિનહરીફ વિજેતા જાહેર થતાં મુકેશ દલાલ સુરતના સાંસદ બની ગયા છે. ત્યારે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને શુભકામનાઓ આપી છે. તો સાથે સાથે, ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ શુભકામના પાઠવી છે.
સીઆર પાટીલે આપી પ્રતિક્રિયા
સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસનું ફોર્મ રદ્દ થયું હતું. કોંગ્રેસ સિવાય અન્ય તમામ 8 ઉમેદવારો હતા જેમને પણ ફોર્મ પરત ખેંચી લેતા મુકેશ દલાલ બિન હરીફ જાહેર થયા છે.
કોંગ્રેસનો વહીવટીતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ
તો સાથે સાથે, ભાજપ પ્રદેશ અધ્યક્ષે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. પાટીલે જણાવ્યું કે કોંગ્રેસે ચૂંટણી પહેલા જ ડ્રામા શરૂ કરી દીધો છે. કોંગ્રેસે વહીવટી તંત્ર પર દબાણ લાવવા માટે પ્રયાસ કર્યો પરંતુ આખરે સત્ય બહાર આવ્યું. અને ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે.
પીએમ મોદીને જીતનું પહેલું કમલ સુરતે આપ્યું
વધુમાં સી. આર. પાટીલે જણાવ્યું કે સુરત બેઠક પર ભાજપની આ પહેલી જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ છે. સુરત બેઠક પર મળેલ જીત 400+ના લક્ષ્યાંકમાં પ્રથમ જીત છે. સુરતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતનું પ્રથમ કમલ આપ્યું છે. સાથે જ પાટીલે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે NDA 400 પ્લસનો લક્ષ્યાંક પૂરો કરશે બિન હરીફ ચૂંટાઈ આવેલ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને લઈને પાટીલે કહ્યું હતું કે તેમનો દેશના વિકાસમાં આ મોટો ફાળો રહેશે.


