- ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામામાં જયસુખ પટેલે માંગી માફી
- પીડિતોને વળતર આપવા અંગે જયસુખ પટેલ આપી બાંહેધરી
- 14 કરોડથી વધુની રકમની ચૂકવી હોવાનો એફિડેવિટમાં ઉલ્લેખ
મોરબીનો ઝૂલતો પુલ તૂટતા 135 નિર્દોષ લોકોના મૃત્યુના કેસની સુઓમોટો રિટની સુનાવણીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ પી. માયીની ખંડપીઠે ઓરેવા ગ્રુપ અને તેના MD જયસુખ પટેલની ભારે ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે આદેશ કર્યો છે કે,હાઇકોર્ટના અગાઉના સ્પષ્ટ આદેશો છતાંય પીડિતોને કાયમી નાણાકીય સહાય અને તેમના વિવિધ મુદ્દાના નિવારણ માટે ટ્રસ્ટના ગઠન સંદર્ભે ઓરેવા કંપનીએ કંઇ જ કર્યું નથી. જે દર્શાવે છે કે કંપની અને એના ડિરેક્ટર બદઇરાદા પૂર્વક અને જાણીજોઇને કોર્ટના આદેશોને અવગણી રહ્યા છે.આજે જયસુખ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યુ હતુ.
જુદી જુદી કોર્ટમાં અનેક વાર કરી હતી જામીન અરજી
જયસુખ પટેલ મોરબી બ્રિજનું સમારકામ અને સંચાલન કરતી કંપની ઓરેવાના MD હતા. મોરબી દુર્ઘટનાના પગલે તેની ધરપકડ કર્યા બાદ અંદાજે 400 દિવસ કરતા વધુ સમયથી તે જેલમાં હતા. જયસુખ પટેલે જુદી જુદી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. છેલ્લે ગુજરાત હાઇકોર્ટમાં પણ તેની જામીન અરજી ભગાવવામાં આવી હતી. જે પછી તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
કેટલીક શરતો પર આપ્યા જામીન
સુપ્રીમ કોર્ટમાં આ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલના શરતી જામીન મંજુર કર્યા છે. ભૂતકાળમાં ઘટના બની ત્યારે 3 મહિના સુધી જયસુખ પટેલ ફરાર હતો.આ બધી ઘટનાને ધ્યાને રાખીને સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ સહિતની ચીજવસ્તુઓ જમા કરાવવાનો આદેશ કર્યો છે. ટુંક જ સમયમાં સ્થાનિક કોર્ટમાં હાજર થવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.
શું હતી દુર્ઘટના
મોરબીમાં વર્ષ 2022માં દિવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. . આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે મચ્છુ નદીમાં પડેલા લોકોને શોધવા માટે 30 ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન 4 નવેમ્બરે પૂર્ણ કરવામાં આવ્યું હતું. સતત 5 દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું હતું. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. બે દિવસ સુધી પણ કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ન હતો.


