- ડેમના દરવાજામાં કલરકામ માટે ડેમ ખાલી કરાશે
- ત્રણ દિવસમાં 232 MCFT પાણી નદીમાં છોડાશે
- તબક્કાવાર 900 કયુસેક પાણી નદીમાં છોડાયું
મચ્છુ 3 ડેમમાં મેઈન્ટેનન્સ કામગીરી હાથ ધરવાની થતી હોવાથી મચ્છુ 3 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલી પાણીને નદીમાં જવા દેવાની શરૂઆત કરાવમાં આવી છે.ડેમ ઉલેચવાનું કામ ત્રણ દિવસ ચાલશે.મોરબી શહેર નજીક આવેલા સિંચાઇના મહત્વના એવા મચ્છુ 3 ડેમમાં આગામી સપ્તાહથી દિવસમાં ડેમના દરવાજા તેમજ અન્ય રીપેરિંગ કામગીરી હાથ ધરાશે જેથી સિંચાઇ વિભાગની ટેકનિકલ ટીમ દ્વારા આ કામગીરીને ધ્યાને લઇ ડેમ ખાલી કરવાની જરૂરિયાત ઊભી થતાં આજે સવારે 8 વાગ્યે ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલીને પાણી છોડવામાં આવ્યુ હતુ અને જે આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. પાણી છોડવાના કારણે ડેમના હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના 13 ગામ અને માળિયા તાલુકાના 8 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદીના પટમાં ન જવા તાકીદ કરવામાં આવી છે.
બે જોઈન્ટ વચ્ચે પણ ગાબડાં
મોરબી શહેરથી હાઇવે જવા માટે સૌથી વધુ ઉપયોગમાં આવતા અને ભારે વાહનો તેમજ ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા લીલાપર-રફાળેશ્વર રોડ ઉપરના મચ્છુ-2 ડેમ પાસેના પુલના બે જોઈન્ટ વચ્ચે ગાબડાં પડી જતા ભારે વાહનો ચાલે ત્યારે પુલ રીતસર ધ્રુજી ઉઠે છે, સાથે જ આ પુલની રેલિંગ નજીક માટી ધોવાઈ જતા મસમોટું ગાબડું પડયું છે.આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે મોરબીમાં 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ઝૂલતાપુલ દુર્ઘટના બાદ પણ તંત્ર જાગ્યું ન હોય તેમ તંત્રની લાપરવાહ નીતિને કારણે મોરબી કંડલા બાયપાસ ઉપર નવા નક્કોર બ્રિજમાં ગાબડાં, માળીયા નજીક નવા ઓવરબ્રીજમાં ગાબડાં બાદ વધુ એક બ્રિજમાં ગાબડાં બાદ મચ્છુ ડેમ પાસેના પુલની ગંભીર બાબતની જાણકારી સુધા તંત્ર પાસે નથી તે લોકો માટે જોખમી બાબત છે.
મચ્છુ ડેમ તૂટયો હતો
44 વર્ષનો સમય પસાર થઈ ગયો છતાં મોરબીના લોકો આ દિવસને ભૂલી શકતા નથી. તારીખ 11 ઓગસ્ટ 1979 જયારે ભારે વરસાદ વરસતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ તૂટી જતા વિનાશ જોવા મળ્યો હતો. માનવ ઇતિહાસે આ પહેલા ક્યારેય જોઈ ન હોય તેવી હોનારત જોઈ હતી. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે મચ્છુ 2 ડેમ તુટયો હતો.


