- કંબોડિયાના પશ્ચિમમાં એક સૈન્ય મથક પર દારૂગોળા વિસ્ફોટમાં 20 સૈનિકો માર્યા ગયા
- PMએ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા સૈનિકોના પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી
- વિસ્ફોટનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, તપાસના આદેશ આપવામાં આવ્યા
કંબોડિયાના પશ્ચિમમાં એક સૈન્ય મથક પર દારૂગોળા વિસ્ફોટમાં 20 સૈનિકો માર્યા ગયા છે. અન્ય ઘણા જવાનો ઘાયલ થયા છે. આ માહિતી કંબોડિયાના વડાપ્રધાન હુન માનેટે આપી છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા જવાનોની હાલત હજુ પણ નાજુક છે. વડાપ્રધાન હુન માનેટે એક ફેસબુક પોસ્ટ કરી હતી, જ્યારે તેમને કેમ્પોંગ સ્પ્યુ પ્રાંતમાં બેઝ પર વિસ્ફોટના સમાચાર મળ્યા ત્યારે તેઓ ચોંકી ઊઠ્યા હતાં.
વિસ્ફોટનું સાચું કારણ જાણી શકાયુ નથી
વિસ્ફોટનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વડાપ્રધાને કહ્યું કે, આ વિસ્ફોટ કેવી રીતે થયો તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. તેમણે આ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા સૈનિકોના પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. વડાપ્રધાન હુન માનેટે પરિવારોને વચન આપ્યું હતું કે સરકાર તમામ મૃત સૈનિકોને અંતિમ વળતર ચૂકવશે.
ઘાયલોને પણ મદદ કરવાનો આદેશ
આ સિવાય સરકારે ઘાયલોને મદદ કરવાના આદેશ પણ આપ્યા છે. વડાપ્રધાને કહ્યું કે, ઘાયલોની સારવાર માટે જે પણ પૈસાની જરૂર પડશે તે સરકાર આપશે. મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા બંને જવાનોને સરકાર વળતર પણ આપશે.
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો પડઘો કિલોમીટરો સુધી સંભળાયો
મળતી માહિતી મુજબ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો પડઘો કિલોમીટરો સુધી સંભળાયો હતો. ધડાકાને કારણે એક ઇમારત પણ નાશ પામી હતી અને તેમાં આગ લાગી હતી જે હજુ પણ ધૂંધળી રહી છે. ઘાયલ જવાનોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
વડાપ્રધાન માનેટને દેશની સત્તા વારસામાં મળી
તમને જણાવી દઈએ કે વેસ્ટ પોઈન્ટ ખાતે અમેરિકન મિલિટરી એકેડમીના ગ્રેજ્યુએટ વડાપ્રધાન માનેટને દેશની સત્તા વારસામાં મળી છે. તેમને તેમના પિતા હુન સેનના અનુગામી તરીકે પીએમ પદ મળ્યું. PM તરીકે પસંદગી થયાના થોડા સમય પહેલા માનેટને ફોર સ્ટાર જનરલ તરીકે બઢતી આપવામાં આવી હતી. જો વિસ્ફોટ પાછળ કોઈ ચોક્કસ વ્યક્તિનો હાથ હોવાનું જણાય તો તેની સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી શકે છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે વિસ્ફોટનું કારણ શું છે.


