- રાજા-રજવાડાઓ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી પર વરાજ જયવીરરાજસિંહની પ્રતિક્રિયા
- “રાહુલ ગાંધી ભૂલી ગયા છે કે, આ દેશ માં જમીન ટોચ મર્યાદાનો કાયદો લાગુ પડ્યો હતો”
- “તેમના જ દાદી કાયદો લઈને આવ્યા જેના કારણે હજારો-લાખો રાજપૂતોની જમીન જતી રહી”
27મી એપ્રિલે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક જનસભાને સંબોધતા રાજા-રજવાડાઓ વિવાદિત નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, રાજા-મહારાજાઓનું શાસન હતું, તેઓ જે ઈચ્છતા તે કરી શકતા હતા, કોઈની પણ જમીનની તેમને જરૂર હોય તો તે લઈ લેતા હતા. આ નિવેદનને લઇ સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને લઇ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં રાહુલ ગાંધીએ કરેલ ટિપ્પણી પર હવે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે પણ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું હતું કે, રાહુલ ગાંધી ભૂલી ગયા છે કે, આ દેશમાં જમીન ટોચ મર્યાદાનો કાયદો લાગુ પડ્યો હતો એ રાહુલ ગાંધીના દાદી ઇન્દિરા ગાંધી લાવ્યા હતા. એ સમયમાં લાખો રજવાડાઓની જમીન જતી રહી હતી તે લોકો નો શું વાંક હતો..?
ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલનું નિવેદન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલ ટિપ્પણી પર હવે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે ‘તેમના જ દાદી કાયદો લઈને આવ્યા હતા જેના કારણે હજારો-લાખો રાજપૂતોની જમીન જતી રહી હતી. તેમનો શું વાંક હતો?’ જે વ્યક્તિના પિતા અને તેમની માતા વડાપ્રધાન રહી ચૂક્યા છે એ વ્યક્તિ એ આટલી જૂની પાર્ટીનું તો નિકંદન કરી નાખ્યું છે. હું માતાજી પાસે પ્રાર્થના કરું છું કે તેમને સુખી રાખે અને તેને બુદ્ધિ આપે… આ સાથે રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા રજવાડા અને રાજાશાહી સમયને થતી ટિપ્પણીઓને સામાજિક સ્વરૂપે જોવો. રાજપૂત સમાજના લોકોને જો એવું લાગતું હોય કે આપણા રજવાડાઓ અને માન સન્માન ઉપર પ્રહાર થતો હોય તો અન્ય કોઈ વિકલ્પ છે કે કેમ…જો અન્ય વિકલ્પના હોય તો સમાજમાંથી શિક્ષિત અને યોગ્ય લાયકાત વાળા વ્યક્તિને રાજકારણમાં ઉભા રાખવા જોઈએ.
રાહુલ ગાંધી સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગે: પદ્મિનીબા
રાજકોટથી રાહુલ ગાંધીના નિવેદન પર પદ્મિનીબાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં પદ્મિનીબાએ જણાવ્યું છે કે રાહુલ ગાંધી તેમના શબ્દો પાછા ખેંચે. રાહુલ ગાંધી સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગે. તેમજ પદ્મિનીબાએ ક્ષત્રિય સમાજના જ કેટલાક આગેવાનોને જયચંદ ગણાવ્યા છે. તેમજ જણાવ્યું છે કે આવા જયચંદોના કારણે જ ક્ષત્રિય સમાજ 20 વર્ષ પાછો ગયો છે.


