- હિટવેવમાં ખેડૂતો અને પશુપાલકો માટે માર્ગદર્શિકા જાહેર
- પશુઓને લીલો ચારો અને ખનીજયુક્ત આહાર આપવો
- તેમજ વહેલી સવારે તથા સાંજના સમયે પિયત આપવું
અસહ્ય ગરમી પડી રહી છે અને હિટવેવની જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે ખેતી અને પશુપાલકો માટે પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.જમીનમાં ઊભા પાક બચાવવા ભેજનું પ્રમાણ જાળવવા માટે તાકિદ કરવામાં આવી છે.
જિલ્લામાં ખેડૂતોએ ખેતરમાં ઊભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું. તેમજ વહેલી સવારે તથા સાંજના સમયે પિયત આપવું. આ સાથે જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા પાકના અવશેષો, પોલીથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું. ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો. બપોરના કલાકો દરમિયાન ખેતી વિષયક પ્રવૃત્તિઓ બંધ રાખવી. જેથી ખેડૂતોને ગરમીમાં રાહત મળી શકે. આ ઉપરાંત પશુઓને છાંયડામાં રાખવા. તેમના પીવાના પાણી માટે ચોખ્ખું અને ઠંડુ પાણી આપવું. તેમજ પશુઓને ખોરાકમાં લીલું ઘાસ અને ખનીજયુક્ત દ્રવ્ય આહાર આપવો. તેમજ બપોરના સમયે દુધાળા પશુઓને ચરાવવા નહીં કે ખોરાક આપવો નહીં. આ અંગે વધુ જાણકારી માટે પોતાના વિસ્તારના ગ્રામ સેવક કે વિસ્તરણ અધિકારી, ખેતીવાડી અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, મદદનીશ ખેતી નિયામક, તાલુકા અમલીકરણ અધિકારી અથવા કિસાન કોલ સેન્ટરનો સંપર્ક કરવા જણાવાયું છે.


