- ટ્રેનને સુરેન્દ્રનગર ગેટ સ્ટેશને સ્ટોપેજ અપાતા આનંદ
- વિરમગામ, મહેસાણા, પાલનપુર સહિતનાં સ્ટેશનોએ પણ ટ્રેન થોભશે
- વેકેશનના દિવસોમાં ઝાલાવાડમાંથી પસાર થતી મોટાભાગની ટ્રેનો હાઉસફુલ જતી હોય છે
ભાવનગર રેલવે ડિવીઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગરથી દિલ્હી કેન્ટ સુધી સમર વીકલી સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવનાર છે. આ ટ્રેનને સુરેન્દ્રનગર ગેટ રેલવે સ્ટેશને સ્ટોપ અપાયુ છે.તહેવારો અને વેકેશનના દિવસોમાં ઝાલાવાડમાંથી પસાર થતી મોટાભાગની ટ્રેનો હાઉસફુલ જતી હોય છે. મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે મુસાફરોની સુવિધા માટે રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા અગાઉ હાપાથી અરૂણાચલપ્રદેશના નાહરલાગુન, રાજકોટથી ઉત્તરપ્રદેશના લાલકુઆં, ઓખાથી દિલ્હી સરાઈ રોહીલ્લા, રાજકોટથી બરૌની અને મહબુબનગર સુધી ટ્રેન ચલાવાઈ છે. ત્યારે હવે ભાવનગર ડિવીઝન દ્વારા ભાવનગરથી દિલ્હી કેન્ટ સુધી સમર વીકલી સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવનાર છે. જેમાં ભાવનગરથી દિલ્હી કેન્ટ સુધી દર શુક્રવારે 15-15 કલાકે દોડશે. અને બીજા દિવસે 13-10 કલાકે દિલ્હી પહોંચશે. તા. 3 મેથી 28 જુન સુધી આ ટ્રેન ચાલશે. જયારે દર શનીવારના રોજ બપોરે 15-25 કલાકે દિલ્હી કેન્ટથી આ ટ્રેન ઉપડી બીજા દિવસે 12-25 કલાકે ભાવનગર પહોંચશે. આ ટ્રેન તા. 4 મેથી 29 જુન સુધી ચાલશે. બન્ને દિશામાં આ ટ્રેન ભાવનગર પરા, સીહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડીયા, મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ, બીયાવર, અજમેર, કીશનગઢ, ફલેરા, નીમ કા થાના, નારનૌલ, રેવાડી, ગુડગાવ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ટુ ટાયર, એસી થ્રી ટાયર, સ્લીપર કલાસ અને જનરલ સેકન્ડ કોચ હશે. આ ટ્રેનમાં મુસાફરી માટે બુકીંગ તા. 27 એપ્રીલથી રીઝર્વેશન કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થઈ ગયુ છે.


