- રાજવી પરિવારો રાહુલ ગાંધીને લઈ રહ્યા છે આડેહાથ
- રાહુલ ગાંધીએ રાજા-રજવાડાઓનો અભ્યાસ કરવો જોઈએ: માંધાતાસિંહ
- રાહુલ ગાંધી ક્ષત્રિય સમાજની માફી માંગેઃ કેસરીદેવસિંહ
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત આવેલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ રાજા-રજવાડાઓને લઈને કરેલ નિવેદનને લઈને વિવાદ ઊભો થયો છે. જેને લઈને હવે, રાજવી પરિવારો કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કરી રહ્યા છે.
માંધાતા સિંહ જાડેજાના રાહુલ ગાંધી પર પ્રહાર
આજ ક્રમમાં, રાજકોટના રાજકોટના રાજવી માંધાતા સિંહ જાડેજાએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. માંધાતા સિંહ જાડેજાએ રાહુલ ગાંધીના નિવેદનને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યું છે. તેમણે રાહુલ ગાંધીને સલાહ આપતા જણાવ્યું છે કે તેમણે રાજા રજવાડાઓ અને ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ.
સૌરાષ્ટ્રના રાજવીઓનું બલિદાન યાદ કરાવ્યું
તો, રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં માંધાતાસિંહ જાડેજાએ સૌરાષ્ટ્રના રાજવીઓના બલિદાનને યાદ કરાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દેશના રાજવીઓએ દેશની અખંડિતતા માટે કેટલું બલિદાન આપ્યું તેનો રાહુલ ગાંધીએ અભ્યાસ કરવો જોઈએ. તો સાથે સાથે તેમણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતાડવા માટે લોકોને વધુને વધુ પ્રમાણમાં મતદાન કરવા અપીલ કરી હતી.
સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના નિશાને રાહુલ ગાંધી
તો, રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજ્યસભાનાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી કે રાજવી અને રાજ પરિવારો ગમે ત્યારે જનતાની જમીન છીનવી લેતા હતા. રાહુલ ગાંધી દ્વારા 2 દિવસ પહેલા કરવામાં આવેલ આ ટિપ્પણી વખોડવા લાયક અને ક્ષત્રિય સમાજને ઠેસ પહોંચાડે તેવી ટિપ્પણી છે.
“ઇતિહાસ ખબર ન હોય તો નિવેદનો ન કરો”
કેસરીદેવસિંહ ઝાલાએ રાહુલ ગાંધીના નિવેદન પર જણાવ્યું હતું કે રાજવીઓ દેશને પોતાનું સર્વસ્વ આપી દીધું છે. પ્રજા માટે રાજવીઓએ સમર્પણ કર્યું છે. પ્રજા માટે હમેશા રાજવીઓ તમામને સાથે લઈને વહીવટી તંત્ર ચલાવતા. 1947માં 562 રજવાડાઓએ ઇતિહાસ રચીને પોતાનું સર્વસ્વ રાજ સહિત દેશ માટે અર્પણ કરી દીધું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે જો આ ઇતિહાસનું જ્ઞાન ન હોય તો આ પ્રકારના નિવેદનો આપવાથી બચવું જોઈએ.
કોંગ્રેસ પોતાનું વલણ સ્પષ્ટ કરે
તેમણે આક્ષેપ કર્યો કે રજવાડા સોંપાઈ ગયા બાદ જેટલા વચનો આપવામાં આવ્યા હતા તે તમાંનો કોંગ્રેસે ભંગ કર્યો. સાલિયાણા બંધ કર્યા. ઇમરજન્સી સમયે પણ કોંગ્રેસે રાજવીઓને જેલ હવાલે કરેલા છે. આ કોઈ ભૂલી ન શકે. કોંગ્રેસની આ કેવી અને કેટલી માનસિકતા છે. તો સાથે સાથે, કેસરીદેવસિંહ ઝાલાએ માંગ કરી હતી કે કોંગ્રેસ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે કે તે શું કહેવા માંગે છે.


