- બનાસકાંઠા-સાબરકાંઠામાં પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર
- ભાજપના દિગ્ગજ નેતાઓ પીએમ મોદી સાથે મંચ પર હાજર
- બનાસકાંઠાના ડીસા ખાતે કર્યું હતું ચૂંટણી સભાને સંબોધન
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને બનાસકાંઠામાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. થોડીવારમાં પીએમ મોદી સાબરકાંઠાના હિંમતનગરમાં પણ જાહેર સભાને સંબોધન કરશે. તો આજે બનાસકાંઠાના ડીસા ખાતે આયોજિત જાહેર સભામાં પીએમ મોદીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષને આડેહાથ લઈને ભાજપ માટે પ્રચંડ પ્રચાર કર્યો હતો. ત્યારે, હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરકાંઠાના હિંમતનગર પહોંચી ગયા છે અને હવે ટૂંક સમયમાં જાહેર સભાને સંબોધન કરશે.
સાબરકાંઠા સાથે મોરો જૂનો નાતો: પીએમ મોદી
હિંમતનગર ખાતે જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ‘કેમ છો મારા સાબરકાંઠાવાળા’ કહીને કરી હતી. તેમણે વધુમાં કહ્યું, ‘મને ક્યાં તમારે જોવાના બાકી છે. સાબરકાંઠા જોડે મારો તો જૂનો નાતો છે. પેઢીઓ બદલાઈ ગઈ પણ સાબરકાંઠાવાળાઓનો પ્રેમ મારા પર એવો ને એવો જ છે. મને તમારી પર ભારે ભરોસો છે.’ પીએમ મોદી વધુમાં કહ્યું કે આ વખતે મારે મજબૂત સમર્થન જોઈએ અને સુરતથી તેની શરૂઆત થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ 400 પાર બેઠક મેળવશે.
સાતમી તારીખે અભૂતપૂર્વ મતદાન કરવા અપીલ
“મને તમારા આશીર્વાદ જોઈએ છે જેથી 140 કરોડ દેશવાસીઓ જે સપના લઈને જીવી રહ્યા છે તે સપના સાકર કરવામાં હું કોઈ પાછી પાની ન કરું મારી કોઈ ઉણપ ન રહી જાય. તેના માટે મારે મજબૂત સમર્થન જોઈએ. સંસદમાં મને ગુજરાતના બધાજ સાથીઓની જરૂર છે દેશ ચલાવવા માટે સાબરકાંઠા પણ જોઈએ અને મહેસાણા પણ જોઈએ. મને પૂરી ખાતરી છે કે તમે સાતમી તારીખે અભૂતપૂર્વ મતદાન કરીને પ્રત્યેક પોલિંગ બુથમાં વિજય મેળવવાના સંકલ્પ સાથે ભાજપને વિજય બનાવશો તેવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે. “
દેશની સેવામાં દિવસરાત કામ કરું છું
“2014માં તમે જ્યારે મને દિલ્હી મોકલ્યો ત્યારે તમે મને સામાન્ય કામ કરવા માટે દિલ્હી નહોતો મોકલ્યો. તમે મને પડકારોને પડકાર ફેંકવા માટે મોકલ્યો હતો. પડકારોને અવગણવા કરવા માટે નહિ. અને આ માટીમાં એ શક્તિ છે. દુનિયાએ મહત્વમાં ગાંધીમાં એ શક્તિ જોઈએ, દેશે સરદાર પટેલમાં એ સામર્થ્ય જોયું. આ માટીમાં એ શક્તિ છે જેમાં મારો ઉછેર થયો, તમારા સંસ્કાર અને શિક્ષાથી હું આજે દેશની સેવામાં દિવસરાત કામ કરું છું. હું સંતોષ સાથે કહી શકું છું કે મે દેશની સેવામાં કોઈ કમી બાકી નથી રાખી.
વોટબેંકને ખુશ કરવા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ ફગાવ્યું
કોંગ્રેસવાળા કહેતા હતા કે રામ મંદિર બનશે તો દેશમાં આગ લાગશે. રામ મંદિર આજે બની ગયું છે ક્યાંય કશું થયું. દેશમાં તો ક્યાંય આગ નથી લાગી, પરંતુ કોંગ્રેસના દિલમાં જે આગ લાગી છે તે કોઈ ઓલાવી નહીં શકે. રામ મંદિરના ટ્રસ્ટીએ મંદિરના વિરોધીઓને માફ કર્યા પણ આ વિરોધીઓએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ ફગાવી દીધું. કોંગ્રેસના લોકોએ પોતાની વોટબેંકને ખુશ કરવા રામની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ સ્વીકાર્યું નહીં. કાશ્મીરમાથી આર્ટિકલ 370 હટી અને ક્યાં લોહી નથી વહ્યું. મોદીને ડરાવવાના ખેલ બંધ કરી દો. આજે લાલ ચોકમાં ગર્વથી ત્રિરંગો લહેરાઈ રહ્યો છે.
ભારત આતંકના આકાઓને ડોઝીયર નહિ ડોઝ આપે છે
10 વર્ષ પહેલાં દેશ આતંકવાદમાં સળગી રહ્યું હતું. કોંગ્રેસને ખબર હતી કે પાડોશી દેશ આતંકવાદીઓ એક્સપોર્ટ કરે છે. મુંબઈ હુમલો કર્યો, કાશ્મીરમાં અવારનવાર હુમલાઓ થતાં. આતંકવાદી હુમલો ભારતમાં થતા હતા. તે સમયની સરકાર જાણકારી મોકલતી કે આ તમારા ત્યાંથી આવ્યા અને આ કર્યું. આજનું ભારત આતંકના આકાને ડોઝ આપે છે અને ઘરમાં ઘૂસીને મારે છે. કોંગ્રેસ પાકિસ્તાનને ડોઝીયર આપતું. આજનું ભારત આતંકના આકાઓને ડોઝીયર નહિ ડોઝ આપે છે, આતંકીઓને તેમના ઘરમાં ઘૂસીને મારે છે.
મોદી ત્રીજીવાર દેશમાં આવશે
કોંગ્રેસના શહેઝાદા સંવિધાન લઈને ફરે છે સાહબાનું કેસમાં કહ્યું હતું પણ સુપ્રીમ કોર્ટની અવગણના કરીને કાનૂન કર્યું. હું ચૂંટણીમાં હારજીત માટે નહીં પણ મારી મુસ્લિમ છોકરીઓની સુરક્ષા માટે ત્રિપલ તલાક ખતામ કર્યો મોદીએ આ કર્યું એટલે કોંગ્રેસના શહઝાદાને તાવ આવે છે. હજી કહે છે કે મોદી ત્રીજીવાર દેશમાં આવશે તો દેશમાં આગ લાગશે, પણ ખરેખર કોંગ્રેસના સપના આગમાં રાખ થઈ ગયા. કોંગ્રેસ પોતાની પાર્ટીમાં જાન નથી ભરી શકી અને દેશમાં સતા મેળવવા માટે નીકળ્યા છે.
મોદી બંધારણ માટે સમર્પિત
કોંગ્રેસ કહે છે બંધારણ ખતરામાં છે. અનામત ખતરામાં છે, કોંગ્રેસના આ જે લોકો છે ને જે બંધારણની વાતો કરે છે, આ લોકોએ 60-70 વર્ષ રાજ કર્યું પરંતુ બાબાસાહેબ આંબેડકરનું બંધારણ આખા દેશમાં લાગુ નથી કરી શક્યા, કાશ્મીરમાં આ બંધારણ લાગુ ન થયું, કાશ્મીરમાં દલિતો આદિવાસીઓ અને પછાત લોકોને અનામત નહોતું મળતું, આ મોદી છે. જેણે આવીને, 370 હટાવીને બંધારણ કાશ્મીરમાં લાગુ કર્યું, કાશ્મીરના દલિતોને, મહિલાઓને, આદિવાસીઓને ઓબીસીને 70 વર્ષે અધિકારો મળ્યા, કેમ કે મોદી બંધારણ માટે સમર્પિત છે.
કોંગ્રેસ અને કોંગ્રેસનું ગઠબંધન ફેક
આજે પણ કોંગ્રેસ પોતાની હરકતોમાંથી બહાર નથી આવતી. તેઓ ચૂંટણી હારી જાય તો બહાનું કાઢે છે. EVM ઉપર પ્રશ્ન કરે છે અને જીતી જાય તો ચૂપ થઈ જાય છે. કોંગ્રેસ ફેક વિડિયો ચલાવે છે એમની વાત કોઈ સાંભળતું નથી એટલે મોદીનો ચહેરો રાખીને જૂઠા વીડિયો વાઇરલ કરે છે. કોંગ્રેસ અને કોંગ્રેસનું ગઠબંધન ફેક છે. પહેલાં અને બીજા ચરણમાં જે મતદાન થયું એનાથી કોંગ્રેસના હોશ ઉડી ગયા છે.
હું ભ્રષ્ટાચારીઓને પકડું તો કોંગ્રેસવાળાઓને નથી ગમતું
પહેલીવાર મત આપવા જાય છે એમને ખબર જ નહીં હોય એમના મા-બાપ કેવી મુસીબતમાં હતા. કાચા રોડ હોય, હોસ્પિટલ ના હોય, 18 વર્ષના જવાનીયોને ખબર નહીં તેમના માતા-પિતા કેવી મુશ્કેલીઓમાં હતા. મોદી સાહેબને દિલ્હી મોકલ્યાએ પહેલા શું સ્થિતિ હતી. ચોરે ચોરે સૂચના જોવા મળતી બિનવારસી વસ્તુ મળે તો દૂર રહેવું. દેશમાં કોઈપણ જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થશે પણ આ બધું મોદી આવ્યા પછી બંધ થઈ ગયું. પહેલા છાપામાં ભ્રષ્ટાચારના સમાચાર આવતા હતા અને અત્યારે આટલા પકડ્યા એવા સમાચાર આવે અને હું આવો લોકોને પકડું તો નથી ગમતું. મને હરાવાવા મથે છે. તો મારી રક્ષા કોણ કરે મારો ગુજરાતનો વહાલો ભાઈ કરે.


