- ‘INDI ગઠબંધને દેશની હાલત બદતર બનાવી નાખી’
- 2014 પહેલા દરેકે દરેક વિસ્તારમાં લૂટ ચાલી રહી હતી’
- ‘સપા-કોંગ્રેસ દેશના વિકાસની મજાક ઉડાવી રહી છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. જીઆઈસીમાં આયોજિત જાહેર સભામાં ભારે ભીડ ઉમટી પડી હતી. પીએમ મોદીએ પ્રતાપગઢમાં સંબોધન કરતાં જણાવ્યું કે કોંગ્રેસ દેશના વિકાસની મજાક ઉડાવી રહી છે. સપા અને કોંગ્રેસ માને છે કે દેશનો આપોઆપ વિકાસ થઈ જશે. અમે શૌચાલય બનાવ્યા તો સપા અને કોંગ્રેસનું કહેવું છે કે તેનાથી શું થશે! ભાજપે ગરીબોને કાયમી મકાનો આપ્યા તો તેઓ કહે છે કે તેનાથી શું થશે! વર્ષો સુધી શાસન કરવા છતાં દેશના પચાસ ટકા ઘરોમાં નલથી જળ નહોતું આવતું. અમે 14 કરોડ ગરીબો સુધી પીવાનું પાણી પહોંચાડ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસના લોકો સેનાની બહાદુરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ લોકો કહી રહ્યા છે કે સત્તામાં આવ્યા બાદ તેઓ કલમ 370 પરત કરશે. આ લોકો પાકિસ્તાન જઈને કબૂતર ઉડાડશે. સપા અને કોંગ્રેસથી સાવધાન રહેવાની જરૂર છે. દેશ આઝાદ થયો ત્યારે ભારત વિશ્વની છઠ્ઠા ક્રમની અર્થવ્યવસ્થા હતી. વર્ષો સુધી શાસન કર્યા બાદ કોંગ્રેસે દેશની અર્થ વ્યવસ્થા 11માં ક્રમે લાવી દીધી. 2014 બાદ ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ સખત મહેનત બાદ અર્થવ્યવસ્થાને 5મા સ્થાને લાવવામાં આવી છે.
ત્રીજી વખત સત્તામાં આવીશું તો ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા બનશે ભારત
પીએમ મોદીએ કહ્યું કે જો અમારી સરકાર ત્રીજી વખત સત્તામાં આવશે તો અમે દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું. આ મોદીની ગેરંટી છે. સપા અને કોંગ્રેસના લોકો ન તો મહેનતથી ટેવાયેલા છે અને ન તો તેમનામાં જીતવાની ક્ષમતા છે. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે તેમને અમેઠીથી ભગાડવામાં આવ્યા અને હવે રાયબરેલીથી પણ ભગાડવામાં આવશે. દેશ ચલાવવો એ સોનાની ચમચી સાથે જન્મેલા બાળકોના રમતની વાત નથી. 4 જૂન પછી મોદી સરકાર ચોક્કસ બનશે પરંતુ સાથે સાથે ઘણું બધુ થવાનું છે.
4 જૂન પછી INDI ગઠબંધન પણ ખટાખટ વિખેરાઈ જશે. હાર બાદ બલીના બકરાને શોધવામાં આવશે ખટાખટ-ખટાખટ. શહજાદા લખનઉના હોય કે દિલ્હીના, ગરમીના વેકેશનમાં વિદેશ નીકળી જશે ખટાખટ-ખટાખટ. કોઈએ કહ્યું છે કે ટિકિટ બુક કરાવવા માટે પણ કહી દેવામાં આવ્યું છે.


