- ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કરાઇ ધરપકડ
- બંને શખ્સો પર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લેન્ડ ગ્રેબિંગના આરોપો
- ગ્યાસપુરમાં 40 કરોડની જમીન પચાવી પાડવા બનાવ્યા હતા ખોટા દસ્તાવેજ
જમીનોના દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરનાર બે આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે. આરોપીઓએ અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવી અનેક જમીનો પચાવી પાડી હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ આરોપીઓ તરંગ દવે અને મોહમ્મદ ઈસ્માઈલ છેલ્લા કેટલાય સમયથી મૌકાની જમીનો પચાવી પાડવાનું કાવતરું કરતા હતા. બંને આરોપીઓએ વર્ષ 2010માં ફરિયાદી અબ્દુલસલામ સીરાજુદ્દીન મન્સૂરીની નારોલ ગ્યાસપુરમાં આવેલી 40 કરોડની જમીન પચાવી પાડવા માટે 2010માં જમીનના ખોટા પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા અને ત્યારબાદ 2018માં જમીનના ખોટા દસ્તાવેજ પોતાના નામના બનાવ્યા હતા, જમીન પરનો કબજો છોડવા માટે આરોપીઓએ ફરિયાદી પાસે 12 કરોડ રૂપિયાની ખંડણી પણ માંગી હતી જે આધારે ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ નોંધે બંને આરોપીઓની ધરપકડ કરી છે.

બંને આરોપીઓની ધરપકડ થતા આર્થિક ગુના નિવારણ શાખાએ બંને આરોપીઓના ઘરે તેમજ ઓફિસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બન્ને આરોપીની ઓફિસમાંથી વિવિધ જમીનોના 85થી વધુ દસ્તાવેજો મળી આવ્યા હતા. બંને આરોપીઓ અમદાવાદ શહેર તેમજ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બનતી સ્કિમો વાળી જમીનોની રેકી કરી તેના ખોટા પાવર ઓફ એટર્ની બનાવતા હતા, અને ત્યારબાદ જમીન માલિક પાસેથી રૂપિયા પડાવતા હતા. અગાઉ આવા કેટલા ગુના આરોપીઓ દ્વારા આચરવામાં આવ્યા છે તેની તપાસ માટે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જોકે નામદાર કોર્ટે ગુનાની ગંભીરતાને જોતા સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આરોપી તરંગ દવે સામે અગાઉ અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 14 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે તો બંને આરોપીનાના બેન્ક એકાઉન્ટની ચકાસણી દરમિયાન કેટલાક શંકાસ્પદ વ્યવહારો પણ મળી આવ્યા છે જેની તપાસ દરમિયાન જમીન છેતરપિંડીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ અધિકારીઓ સેવી રહ્યા છે.


