સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ
ડાંગના વઘઈમાં ૧૨.૪૮, અંબિકામાં ૧૦.3૧ ઈંચ
સવારે ૬થી બપોરના બે વાગ્યા સુધીમાં ૧૧૨ તાલુકામાં અને ૨૪ કલાકમાં ૧૭૨ તાલુકામાં મેઘરાજાની સટાસટી
તાપીના ઢોલવણમાં ૯.૬૫, નવસારીના વનસાદીમાં ૮.૯૪, ચિખલીમાં ૮.૬૨, વલસાડ, તાપીના વાલોદ, ડાંગ, ગણદેવી, સુબરી, વેરાવળમાં ક્રમશ: ૬થી ૭ ઈંચ સુધી વરસાદ ખાબક્યો
વલસાડમાં ૫૦૦ લોકોનું સ્થળાંતર કરી શેલ્ટર હોમમાં ખસેડાયા, ૨૭ જેટલા રસ્તાઓ બ્લોક: શહેર, ખેતરોમાં ગોઠણસમા પાણી ભરાતા બેટમાં ફેરવાયા, ચીખલીમાં 3૦થી વધારે ઘરોમાં પાણી ભરાયા: તંત્ર એક્શન મોડમાં
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત રાજ્યભરમાં ચોમાસાની મોડી શરૂઆત થઈ છે મોડી શરૂઆત બાદ પણ ધમાકેદાર એન્ટ્રી મેઘરાજાએ કરી છ. જેમાં ગઈકાલે સૌરાષ્ટ્રના ગીર પંથકને ધમરોળ્યા બાદ આજે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મનમૂકીને વરસી રહ્યા છે. આજે સવારના ૬ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધીમાં ડાંગના વઘઈમાં ૧૨.૪૮, તાપીના ઢોલવણમાં ૯.૬૫, નવસારીના વનસાદમાં ૮.૯૪ અને ચીખલીમાં ૮.૬૨ ઈંચ વરસ્યો હતો.
આજે સવારથી બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના ૧૧૨ તાલુકા અને ૨૪ કલાકમાં ૧૭૨ તાલુકામાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે.
દક્ષિણ ગુજરાતમાં આભ ફાટતા સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. નવસારી, ચીખલી સહિત વલસાડમાં ૭.૬, તાપીના વાલોદમાં ૭.૨૮, ડાંગમાં ૭.૨, ગણદેવીમાં ૭.૧3, સુબરીમાં ૬.34, ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં ૬.૦૨, ખેરગામમાં ૫.૬3, માળીયા હાટીનામાં ૪.૪૯, મહુવામાં ૪. 33, જૂનાગઢના માંગરોળમાં ૨૪ કલાકમાં ૧૪.૨૧ ઈંચ, કેશોદમાં ૧૨ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર ખાબકતા સોસાયટીઓ, ખેતરો, રોડ-રસ્તા પર પાણી ભરાયા હતા. નદીઓમાં ઘોડાપુર આવતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. વલસાડમાં ૫૦૦ લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે રાખવામાં આવ્યા છે.
નવસારી જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર ઇનિંગ વચ્ચે ચીખલીમાં માત્ર 2 કલાકમાં 8 ઇંચ અને ગણદેવીમાં 5 ઇંચ વરસાદ ખાબકતાં તારીજીની સ્થિતિ સર્જાઈ છે. દેવસર વિસ્તારની વેંકતેશ્વર નગર સોસાયટી અને વાંસદાના ગાંધીનગર ફળિયામાં કમર સુધીના પાણી ભરાઈ જતાં 30થી વધુ ઘરોની ઘરવખરીને મોટું નુકસાન થયું છે, જ્યારે ગણદેવી-નવસારી સ્ટેટ હાઇવે અને વાંસદાથી ડાંગ તરફ જતો માર્ગ વૃક્ષ ધરાશાયી થવાથી બંધ થયો છે. યાત્રાધામ ઉનાઈના રસ્તાઓ નદીમાં ફેરવાયા છે, જોકે આ નિયમિત વરસાદથી ખેડૂતોએ ડાંગરની રોપણીના કાર્યો વેગવંતા બનાવ્યા છે.
વલસાડ શહેરમાં સવારે 6થી 10 વાગ્યાના માત્ર 4 કલાકના ગાળામાં 7 ઇંચ વરસાદ વરસતા સમગ્ર શહેર બેટમાં ફેરવાઈ ગયું છે અને મુખ્ય બજારો તથા નીચાણવાળા છીપવાડ વિસ્તારમાં ગોઠણથી કમર સુધીના પાણી ભરાયા છે. પૂરની ગંભીર સ્થિતિને જોતા વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 500 જેટલા લોકોનું શેલ્ટર હોમમાં સુરક્ષિત સ્થળાંતર કરાયું છે, જ્યાં તેમના રહેવા, જમવા અને તબીબી સારવારની વ્યવસ્થા કરાઈ છે. ભારે જળભરાવના કારણે જિલ્લાના સ્ટેટ હાઈવે સહિત 27 જેટલા આંતરિક રસ્તાઓ બંધ કરી દેવાયા છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે NDRFની ટીમો તૈનાત કરીને ઔરંગા નદીના જળસ્તર પર સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે.
કડી શહેરમાં ગુરુવારે મધરાત્રે 2 વાગ્યાના સુમારે વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે તૂટી પડેલા માત્ર બે જ કલાકના મુશળધાર વરસાદમાં આશરે 8 ઇંચ જેટલું પાણી ખાબકતાં નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડી ગયા છે. કરણનગર અને સુજાતપુરા રોડ પર આવેલી જય ગુરુદેવ અને એટલાન્ટા પાર્ક સહિતની 25થી વધુ સોસાયટીઓમાં કમર સુધીના પૂરના પાણી ઘૂસી જતાં અડધી રાત્રે લોકો સામાન બચાવવા દોડતા થયા હતા. શહેરના થોળ રોડ, મામલતદાર કચેરી અને સુજાતપુરા રોડ પરના ત્રણેય અંડરબ્રિજો સ્વિમિંગ પૂલની જેમ ભરાઈ જતાં બંધ કરાયા છે, તેમજ માર્કેટ યાર્ડ અને સર્વ વિદ્યાલય કેમ્પસ પાણીમાં ગરકાવ થતાં ભારે ટ્રાફિકજામ સર્જાયો છે.
જુનાગઢના કેશોદ, માંગરોળ અને માળિયા હાટીના પંથકમાં બે કલાકમાં બે ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. માળિયા-સોમનાથ હાઇવે પર અનરાધાર વરસાદને કારણે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે, જ્યારે હાઇવે નજીકના ખેતરો પાણીમાં તરબોળ થઈ જતાં ચોમેર પાણી ભરાયા છે.
નવસારી જિલ્લામાં, ખાસ કરીને વાંસદા તાલુકામાં વહેલી સવારથી જ ખાબકેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર પંથક જળબંબાકાર બન્યો છે. પ્રખ્યાત યાત્રાધામ ઉનાઈના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ જતાં જનજીવન ખોરવાયું છે, જ્યારે ધારાસભ્ય અનંત પટેલના ઘર પાસે પાણી ભરાવા સહિત વાંસદા-ડાંગ હાઈવે પર મોટું વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. આ આકાશી આફત અને ભારે ટ્રાફિક જામ વચ્ચે વાંસદા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટરે (PI) ધોધમાર વરસાદમાં જાતે રસ્તા પર ઊભા રહીને ટ્રાફિક નિયમન કરાવી પ્રશંસનીય માનવતાવાદી અભિગમ દાખવ્યો છે, જ્યારે હાલ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પાંચ જિલ્લામાં રેડ-સાતમાં ઓરેન્જ એલર્ટ
19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ જિલ્લામાં રેડ અને સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય પર એક સાથે પાંચ પાંચ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આગામી બે ત્રણ દિવસમાં ચોમાસુ આગળ વધશે. રાજ્યમાં જૂનાગઢ સહિતના જિલ્લામાં વાવણીલાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
માળીયા હાટીનાની મેઘલ અને વ્રજમી નદીઓ પૂર, રસ્તો બંધ
જૂનાગઢના માળીયા હાટીના તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 20 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે મેઘલ અને વ્રજમી નદીઓમાં પૂર આવ્યા છે. મેઘલ નદીના પૂરથી ભાખરવડ ડેમમાં એક મીટર નવા નીરની આવક થઈ છે, જ્યારે વ્રજમી નદીના પૂરે વડીયા ગામ પાસેનો કોઝવે ડૂબાડતા પાણકવા તરફનો રસ્તો બંધ થયો છે.
સૌરાષ્ટ્રના 5 મુખ્ય ડેમો 70% ભરાઈ ગયાં
સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીની પ્રચંડ આવક થતાં વિવિધ જિલ્લાના પાંચ મુખ્ય ડેમો 70 ટકાથી વધુ ભરાઈ ગયા છે, જેના પગલે તંત્ર દ્વારા સંબંધિત કેચમેન્ટ એરિયામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ડેમોમાં ઉપલેટાનો વેણુ-2 (78.48%), ચુડાનો વંસલ (77.08%), ઉમરાળાનો રંઘોળા (75.6%), કુતિયાણાનો સારણ (73.37%) અને માણાવદરના બાટવા-ખારો ડેમ (70.96%)નો સમાવેશ થાય છે.
દીવના દરિયામાં કરંટથી ઊંચા મોજા ઉછળ્યાં
દીવમાં વ્યાપક વરસાદને લીધે ઠેર-ઠેર ગોઠણ ડૂબ પાણી ભરાયા છે. બીજી તરફ દરિયામાં પણ કરંટ જોવા મળતા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. એક તરફ દરિયામાં કરંટથી મોજા ઉછળી રહ્યા છે તો બીજી તરફ પ્રવાસીઓ જીવના જોખમે સેલ્ફી લઈ રહ્યા છે.
વલસાડ-નવસારીમાં ટીમો તૈનાત કરવા સૂચના
સમગ્ર રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ અત્યારથી જ યુદ્ધના ધોરણે એક્શન મોડમાં આવી ગયા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વલસાડના કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરીને જિલ્લાની આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી અને તંત્રને સતત એલર્ટ રહેવા સૂચના આપી હતી. તેમણે સૌથી વધુ અસરગ્રસ્ત વલસાડ અને નવસારી જિલ્લામાં આરોગ્યની ટીમોને તૈનાત રહેવા જણાવ્યું છે.
સુત્રાપાડાનું વડોદરા ઝાલા ગામ બેટમાં ફેરવાયું
ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામમાં સતત વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામના ગામતળ અને નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મામલતદાર અને ટીડીઓની ટીમે ગામની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી છે. તંત્ર દ્વારા છ જેટલા JCBની મદદથી પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદી સ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે.
4 જુલાઈની આગાહી
- આવતીકાલે એટલે કે, 4 જુલાઈના રોજ રેડ એલર્ટ સાથે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ, તેમજ કેટલાક અલગ-અલગ વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ પડવાની ખૂબ જ શક્યતા છે. ઉપરાંત, સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં પણ આવી સ્થિતિ રહેવાની સંભાવના છે.
- ઓરેન્જ એલર્ટ સાથે દક્ષિણ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને તાપી જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓ તથા દીવમાં કેટલાક અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
- યેલો એલર્ટ સાથે આણંદ, પંચમહાલ, મહિસાગર અને વડોદરા જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાઓમાં કેટલાક અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ચોમાસું નબળું: 3 જુલાઈ સુધી રાજ્યમાં માત્ર 76.92 મિમી વરસાદ
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા 3 જુલાઈ 2026ના સવારે 10:00 વાગ્યે જાહેર કરાયેલા અહેવાલ અનુસાર ગુજરાતમાં ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધી કુલ 76.92 મિમી વરસાદ નોંધાયો છે. આ આંકડો રાજ્યના સમગ્ર સિઝનના સરેરાશ વરસાદના માત્ર 8.46 ટકા જેટલો છે, જે દર્શાવે છે કે રાજ્યમાં ચોમાસાની શરૂઆત હજુ પણ સામાન્ય કરતાં નબળી રહી છે. ગત વર્ષોની સરખામણી કરીએ તો 2023માં આ સમયગાળા સુધી 948.06 મિમી, 2024માં 1263.90 મિમી અને 2025માં 1133.75 મિમી વરસાદ નોંધાયો હતો. તેની સામે 2026માં અત્યાર સુધીનો વરસાદ નોંધપાત્ર રીતે ઓછો રહ્યો છે.
જિલ્લાવાર સ્થિતિ
રાજ્યના કુલ 251 તાલુકાઓમાંથી અત્યાર સુધી 129 તાલુકાઓમાં 0થી 50 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે 68 તાલુકાઓમાં 51થી 125 મિમી, 37 તાલુકાઓમાં 126થી 250 મિમી, 16 તાલુકાઓમાં 251થી 500 મિમી અને માત્ર એક તાલુકામાં 501થી 1000 મિમી વરસાદ નોંધાયો છે. રાજ્યના કોઈપણ તાલુકામાં હજુ સુધી 1000 મિમીથી વધુ વરસાદ નોંધાયો નથી. વિસ્તારવાર સરેરાશ વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 160.24 મિમી (10.39%) વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 79.63 મિમી (10.45%), પૂર્વ-મધ્ય ગુજરાતમાં 62.04 મિમી (7.58%), ઉત્તર ગુજરાતમાં 29.98 મિમી (4.10%) અને કચ્છમાં સૌથી ઓછો 2.00 મિમી (0.40%) વરસાદ નોંધાયો છે.
2 ડેમ હાઈ એલર્ટ પર! 9 ડેમ 70%થી વધુ જથ્થો
ગુજરાતમાં ચાલુ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના મોટા ભાગના ડેમ અને જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાજ્યના તાજા ડેમ રિપોર્ટ મુજબ કુલ જળસંગ્રહ ક્ષમતા સામે સરેરાશ 63.94% ભરાવ નોંધાયો છે, જ્યારે અનેક ડેમોમાં ઇનફ્લો સતત ચાલુ છે. આ સ્થિતિથી એક તરફ ખેડૂતો અને પીવાના પાણીની સમસ્યામાં રાહત મળી છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં પાણી છોડવાના કારણે નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. 2 ડેમ હાઈ એલર્ટ પર, 7 થી વધુ ડેમ વોર્નિંગ ઝોનમાં છે. ઉપરાંત 9 ડેમ 90%થી વધુ, 20 ડેમ 80%થી વધુ, 58 ડેમ 70%થી વધુ, 119 ડેમ 60%થી વધુ અને 206 ડેમ 50%થી વધુ ભરાયો છે.
12.71 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર પૂર્ણ
રાજ્યમાં ચોમાસાની ગતિ સાથે ખેડૂતો દ્વારા ખરીફ સીઝન 2026 માટે વાવેતરની પ્રક્રિયા તેજ બની રહી છે. રાજ્ય સરકારના 29 જૂન 2026 સુધીના આંકડા મુજબ ગુજરાતમાં કુલ 85.30 લાખ હેક્ટર સામાન્ય ખરીફ વિસ્તાર સામે 12.71 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે, જે સામાન્ય વિસ્તારના 14.91 ટકા જેટલું છે. ચોમાસાની સ્થિતિ, વરસાદનું વિતરણ અને આગામી દિવસોમાં વરસાદની સંભાવના મુજબ આગામી સપ્તાહોમાં વાવેતરમાં વધુ ઝડપ આવવાની ધારણા છે. રાજ્યના કૃષિ વિભાગના આંકડા દર્શાવે છે કે અત્યાર સુધીમાં સૌથી વધુ વાવેતર કપાસ, મગફળી, શાકભાજી અને ઘાસચારા જેવા પાકોમાં નોંધાયું છે. બીજી તરફ બાજરી, જુવાર, તુવેર, મગ અને અડદ જેવા પાકોમાં હજુ વાવેતર પ્રારંભિક તબક્કામાં છે. આંકડા મુજબ કપાસનું વાવેતર અત્યાર સુધીમાં 6,83,554 હેક્ટર વિસ્તારમાં થયું છે, જે તેના સામાન્ય વિસ્તારના 28.68 ટકા જેટલું છે. રાજ્યમાં ખરીફ સીઝન દરમિયાન કપાસ મુખ્ય રોકડ પાક હોવાથી વરસાદની શરૂઆત સાથે ખેડૂતો સૌથી પહેલા આ પાક તરફ વળતા હોય છે. તે પછી મગફળીનું વાવેતર 4,12,795 હેક્ટર વિસ્તારમાં નોંધાયું છે, જે સામાન્ય વિસ્તારના 21.55 ટકા જેટલું છે. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થતાં મગફળીના વાવેતરને ગતિ મળી હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે.
વલસાડમાં તમામ શાળા કોલેજોમાં રજા જાહેર
વલસાડ જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આદેશ અનુસાર, વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, વાપી, ઉમરગામ અને પારડી તાલુકામાં શાળાઓ બંધ રાખવા અંગેનો નિર્ણય લેવાની જવાબદારી ત્યાંના આચાર્યોને સોંપવામાં આવી છે, જેથી તેઓ પોતાના વિસ્તારમાં વરસાદની સ્થિતિને આધારે યોગ્ય નિર્ણય લઈ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે.
જામજોધપુરમાં 2 બાળક તણાયા
જામનગરના જામજોધપુર તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. આજે વહેલી સવારથી મૂશળધાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં પાણી ફરી વળ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જામજોધપુરમાં 7 ઈંચ જેટલો અતિભારે વરસાદ ખાબક્યો છે. આ ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે જામજોધપુરમાં એક મોટી હોનારત ટળી હતી. રસ્તા પરથી પસાર થઈ રહેલા 2 માસૂમ બાળકો અચાનક પાણીના જોરદાર અને ધસમસતા પ્રવાહમાં તણાવવા લાગ્યા હતા. બાળકોને તણાતા જોઈ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓએ ત્વરિત બહાદુરી બતાવીને બંને બાળકોને પાણીમાંથી બહાર ખેંચી લીધા હતા અને તેમનો આબાદ બચાવ કર્યો હતો.


