- 4.46 લાખ જેટલા વિદ્યાર્થીમાંથી 96 કરતા વધુ માર્કસ મેળવનાર માત્ર 280
- 30,387 વિદ્યાર્થીનો મેરિટમાં સમાવેશ, 25,000ને સ્કોલરશીપનો લાભ મળશે
- સરકારી-ગ્રાન્ટેડમાં પ્રવેશ લેનારને ક્રમશઃ રૂ.5 હજાર અને રૂ.7 હજાર શિષ્યવૃત્તિ મળશે
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે શનિવારે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ધોરણ.8નાં કુલ 4.46 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ પૈકી માત્ર 280 વિદ્યાર્થીઓને 120 માર્કસની પરીક્ષામાં 96 કરતા વધુ માર્કસ આવ્યાં છે. એટલુ જ નહી, 2.67 લાખ જેટલા બાળકો 40 માર્કસ પણ મેળવી શક્યા નથી. પરીક્ષાના આધારે 50 ટકા એટલે કે, 60 કે તેનાથી વધુ માર્કસ પ્રાપ્ત કરનારા 30,387 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરનાર પૈકીના 25,000 વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ મળશે.
મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશિપ યોજનામાં ખાનગી સ્કૂલમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીને ધો.9 અને 10માં વાર્ષિક રૂ.22,000 અને ધો.11-12માં વાર્ષિક રૂ.25 હજાર શિષ્યવૃત્તિ મળશે. સરકારી-ગ્રાન્ટેડમાં પ્રવેશ લેનારને ક્રમશઃ રૂ.5 હજાર અને રૂ.7 હજાર શિષ્યવૃત્તિ મળશે. ધોરણ-8ના વિદ્યાર્થીઓની ગત તા.30 માર્ચના રોજ પરીક્ષા લેવાઈ હતી, જેમાં કુલ 4,46,698 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યાં હતા. 5 વિદ્યાર્થીઓએ 120માથી 108 અને 280 વિદ્યાર્થીઓએ 96 કરતા વધુ માર્કસ પ્રાપ્ત કર્યાં છે.


