ખડકાયેલા કાચા પાકા મકાન અને ઝુંપડાઓનું ડિમોલીશન : મામલતદારની કાર્યવાહી
ગામતળની અને ગૌચરની જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં જ હુકમ કરવામાં આવ્યો હતો. મહેસુલ વિભાગ દ્વારા હાઇકોર્ટના હુકમ અંતર્ગત રાજયના તમામ કલેકટરોને આદેશ આપવામાં આવ્યા હતાં. ત્યારબાદ રાજકોટ કલેકટર દ્વારા કણકોટ, લોધીકા, પાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોની ગૌચર જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે મામલતદારને સૂચના આપતા આજે લોધીકાના રાવકી ગામે મામલતદાર દ્વારા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સરકારી જમીન પર ખડકાયેલા કાચા-પાકા મકાન અને ઝુંપડાઓ તોડી પાડી ૧૫ કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઇ હતી.
રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સરકારી જમીન ઉપર વર્ષોથી ગેરકાયદે બાંધકામ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં આજ રોજ લોધીકા તાલુકાના રાવકી ગામના રાવકી માખાવડ રોડ પર ફરગ્યુશન કારખાના સામે આવેલ સરકારી ખરાબાની સ.નં 645ની અંદાજે ર એકર જેટલી અંદાજે 15 કરોડ કિમંતની જમીનમાથી દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામા આવી.દબાણ દુર કરતી વખતે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો.
લોધીકાના રાવકી ગામે સરકારી જમીન પર મુકેશ ડાંગર અને હંસાબેન સિંગલ દ્વારા ફેન્સીંગ કરી બાંધકામ ખડકી દેવામાં આવ્યા હતાં. જે કેસ બાબતે રાજકોટ કલેકટર દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી અનુસંધાને હાઇકોર્ટે સરકારી જમીન ખાલી કરાવવા માટે આદેશ કરતાં આજે રાજકોટ કલેકટરના માર્ગદર્શન હેઠળ લોધીકા મામલતદાર દ્વારા આ ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં આવેલી ગૌચરની જમીન પર થયેલા દબાણોનો સર્વે કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ સર્વે થયા બાદ વધુ ગામોમાં પણ સરકારી જમીનો પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવુ રાજકોટ કલેકટર દ્વારા તાલુકા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.


