- અગનવર્ષા દિનમણિની : સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓને હજુ ત્રણ દિવસ આકરી ગરમીનો સામનો કરવો પડશે
- નગરપાલિકાએ સવારે અને સાંજે શહેરના રસ્તાઓ પર પાણી છાંટી લોકોને ગરમીમાંથી રાહત આપવાની કામગીરી હાથ ધરી છેલ્લા
- 10 દિવસમાં તાપમાનનો પારો 4.6 ડિગ્રી વધ્યો
ઝાલાવાડ માટે મે માસનો અંતિમ સમય આકરો જઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી ગરમી તમામ હદ વટાવી રહી છે. અને મહત્તમ તાપમાન દિવસે દિવસે વધતુ જાય છે. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં ગરમીનો પારો 45 ડિગ્રી ઉપર નોંધાઈ રહ્યો છે. વર્ષના સૌથી ગરમ દિવસના પોતાના જ રેકોર્ડ ગરમી તોડી રહી છે. અને ગુરૂવારે તા. 23મી મેના રોજ વર્તમાન ઉનાળાની સૌથી વધુ ગરમી 45.9 ડિગ્રી નોંધાઈ છે.
ઝાલાવાડમાં છેલ્લા 3 દિવસથી સતત તાપમાનનો પારો 45 ડિગ્રીની ઉપર નોંધાય છે. છેલ્લે તા. 20 મેના રોજ 44.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. ત્યારબાદથી સતત ગરમીનો પારો 45 ડીગ્રી ઉપર રહે છે. જયારે છેલ્લા 10 દિવસના તાપમાનની વાત કરીએ તો ગરમીનો પારો 4.6 ડિગ્રી ઉપર ગયો છે. ઝાલાવાડમાં ગરમીએ કાળો કેર વર્તાવતા બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જાય છે. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલિકા દ્વારા પણ શહેરીજનોને ગરમીમાંથી રાહત મળે તે માટે દરરોજ સવારે અને સાંજે શહેરના મુખ્ય રસ્તાઓ પર ટેન્કર દ્વારા પાણી છંટકાવની કામગીરી હાથ ધરી છે. ગુરૂવારે વહેલી સવારે પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયાએ જાતે આ કામગીરીની શરૂઆત કરાવી હતી અને ફાયર વિભાગના દેવાંગભાઈ દુધરેજીયા, જયભાઈ રાવલ સહિતનાઓ દ્વારા શહેરના કલેકટર કચેરી રોડ, ટાવર રોડ, વિઠ્ઠલ પ્રેસ રોડ, પતરાવાળી ચોક, 80 ફુટ રોડ, હેન્ડલુમ ચોક, અંબા મીકેનીક રોડ, જોરાવરનગર, રતનપર સહિતના વિસ્તારોમાં રોડ પર ટેન્કર દ્વારા પાણીનો છંટકાવ કર્યો હતો. બીજી તરફ સતત વધતી ગરમીને લીધે ચક્કર આવવા, ગભરામણ થવી, ઝાડા કે ઉલ્ટી થવી જેવા કેસો ઈમરજન્સી સ્વરૂપે નવા 4 છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે. આ અંગે એપેડેમીક મેડીકલ ઓફીસર ડો. જયેશ રાઠોડે જણાવ્યુ કે, લોકોમાં હવે જાગૃતતા આવી રહી છે. તેઓ કાળઝાળ ગરમીમાં બહાર જવાનું ટાળતા હોવાથી અગાઉના દિવસોમાં આવતા કેસોની સરખામણીએ હાલ ઈમરજન્સી કેસોની સંખ્યા ઘટી છે.


