- ચોમાસાના આગમનના પગલે માછીમારો માટે બે મહિનાનું વેકેશન
- સાગર ખેડવા ગયેલી તમામ બોટ દરીયામાંથી પરત ફરી
- ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી માછીમારી માટે આવે છે બોટ
હાલમાં ટૂક સમયમાં વરસાદ શરુ થઈ જશે. ત્યારે જાફરાબાદ બંદરે માછીમારીમાં બે મહિનાનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ તમામ બોટને દરીયામાંથી પરત બોલાવી લેવામાં આવી હતી. જેના કારણે જાફરાબાદ બંદરે એક સાથે 700 બોટ લાંગરવામાં આવી છે.
ચોમાસાના પગલે માછીમારી ન કરવા અપાઈ સૂચના
અમરેલી જિલ્લામાં ખાસ કરીને જાફરાબાદ બંદર માછીમારી માટે સૌથી વધારે લોકપ્રિય છે. ઝીંગા માછલી અહીં સૌથી વધારે થાય છે અને તેની વધારે કિંમત આવતી હોવાથી અહીં માછીમારી કરવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યમાં બોટો અહીં માછીમારી કરવા માટે આવે છે. ચોમાસા પહેલા પણ દરીયામાં એક્ટીવીટીના કારણે દરીયો તોફાની બનતો હોય છે. આ સમયગાળા દરમિયાન માછીમારોને માછીમારી કરવી મુશ્કેલ બની જાય છે. આ કારણે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આ દિવસો દરમિયાન માછીમારી ન કરવા માટે માછીમારોને સૂચના આપવામાં આવી છે.
ઓગષ્ટથી ફરી માછીમારી ધમધમશે
1લી જૂનથી માછીમારી બંધ કરી દેવાનો આદેશ હોવાથી જાફરાબાદ, શિયાળબેટ દરિયાઈ પટ્ટીમાં તમામ બોટ દરીયામાંથી પરત ફરી છે અને જાફરાબાદના દરીયાકાંઠા પર એક સાથે 700થી 800 જેટલી બોટ લાંગરવામાં આવી છે. આના કારણે દરીયાકાંઠા પર બોટના થપ્પા લાગી ગયા છે.1 જૂનથી 31મી જુલાઈ સુધી બે મહિના માટે માછીમારી માટે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ પછી 1લી ઓગષ્ટથી ફરી જાફરાબાદના દરીયામાં માછીમારી શરુ થઈ જશે.
બે માસમાં માછીમારો ધાર્મિક અને પારિવારીક પ્રસંગો નીપટાવશે
સાગરખેડુ માટે વર્ષમાં માત્ર આ બે મહિના જ વેકેશન રહેતું હોય છે તે સિવાયના સમયમાં ફ્રી હોતા નથી એટલે માછીમારો આ સમયનો ઉપયોગ પોતાના પરિવાર સાથે ગાળવા માટે કરતા હોય છે. આ ઉપરાંત પારિવારીક તથા ધાર્મિક પ્રસંગો, મેળાવડા વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે. તેમજ કેટલાક પરિવારો માછીમારીના વેકશન દરમિયાન બહાર ફરવા માટે પણ જાય છે. ઘરમાં સમારકામ કરવાનું હોય તેવા કામો પણ આ સમય દરમિયાન કરવામાં આવે છે.


