- સીલવાઈ ગામમાં રોગચાળો ફેલાયો
- તંત્રની વિવિધ ટીમો કામે લાગી
- સીલવાઈ ગામેથી પાણીના સેમ્પલ લેવાયા
આણંદ જિલ્લાના ઝાડા-ઉલટી કેસમાં વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે. હાલ ભારે ગરમી અને પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા જુદા-જુદા વિસ્તારમાં તપાસ હાથ ધરી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી
જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી કાળઝાળ ગરમી જોવા મળી રહી છે. ત્યારે પેટલાદ તાલુકાના સીલવાઈ ગામે ઝાડાના 30 કેસ નોંધાયા છે. તાલુકામાં રોગચાળાના પગલે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગના ડોક્ટર અને જિલ્લા એકેડેમિક ઓફ્સરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા 4 ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે.
ક્લોરિન અને ORSનું કરાયુ વિતરણ
સિલવાઈના સૂર્યપુરા સહિતના વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિન ટેબલેટ અને ORSનું વિતરણ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સિલવાઈના જુદા-જુદા વિસ્તારમાંથી પાણીના ત્રણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જુદા-જુદા વિસ્તારમાં પાણીની ટાંકી સહિત વિવિધ પાણીના સંગ્રહના સાધનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.


