- સ્કૂલ શરૂ થતાં જ RTO અને પોલીસ સંયુક્ત કાર્યવાહી કરશે
- ખાનગી વાનનો કોમર્શિયલ વપરાશ કરશે તેમના પણ વાહન ડિટેઇન થશે : RTO
- અમદાવાદમાં 15 હજાર સહિત રાજ્યમાં 80 હજાર સ્કૂલવર્ધીના વાહનો
રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારના તમામ તંત્રોમાં ચાલતા ધુપ્પલ એક પછી એક બહાર આવવા લાગ્યા છે. આ ઘટના બાદ સેફ્ટીના લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. આરટીઓ અને શહેર પોલીસ પણ ઘોર નિદ્રામાંથી જાગ્યું છે અને હરકતમાં આવ્યું છે. હવે આડેધડ બાળકો ભરનારા સ્કૂલવર્ધીના વાહનો સામે પણ સકંજો કસાશે. 13મી જૂનથી સ્કૂલ શરૂ થતાં જ આરટીઓ અને પોલીસના અધિકારીઓ રસ્તા પર કાર્યવાહી કરશે. કાર્યવાહીમાં સ્કૂલવર્ધીના વાહનોમાં સીએનજી કિટ પર પાટિયુ રાખી બાળકોને બેસાડેલા હશે તો રસ્તા પર જ વાહન ટિડેઇન કરાશે. ખાનગી વાહનમાં સ્કૂલના બાળકોને બેસાડી કોમર્શિયલ વરરાશે કરવા સહિત નિયમો તોડનાર વાહન પણ ટિડેઇન કરી ચાલક અને વાહન માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. અમદાવાદમાં 15 હજાર સહિત રાજ્યમાં 80 હજાર સ્કૂલવર્ધીના વાહનો છે.
શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ટ્રાફિક પોલીસના અધિકારીઓ સહિત સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓની ગુરુવારે બેઠક મળી હતી. બેઠકમાં સ્કૂલવર્ધીના વાહનો સામે વાહનવ્યવહાર વિભાગે બનાવેલી ગાઇડલાઇનનું પાલન નહીં કરનારા સ્કૂલવર્ધી વાહનને રોડ પર જ ડિટેઇન કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવતા સુભાષબ્રિજ આરટીઓએ કહ્યું કે, નિયમમાં કોઈ બાંધછોડ કરાશે નહીં. બાળકોની જિંદગી મહત્ત્વની છે. વાલીઓએ પણ તકેદારી રાખવી જરૂરી છે. વાહનમાં ડ્રાઇવર સાથે 12 વર્ષથી ઓછી ઉંમરના સ્કૂલવર્ધીની રિક્ષામાં 6 અને કારમાં 12 બાળકોને બેસાડવાની મંજૂરી છે. આ સિવાય વધુ બાળકો હશે તો રસ્તા પર જ વાહન ડિટેઇન કરી દેવાશે. વાલીઓએ પણ પૂરતી વાહનમાં નિયમોનું પાલન થાય છે કે નહીં ? તેની ચકાસણી કરી લેવાની રહેશે. વાહનવ્યવહાર કમિશનર કચેરીએ દ્વારા સ્કૂલવર્ધી વાહનો માટે હાલ કોઈ નિયમ હળવા કરાયા નથી. આથી સ્કૂલ ખૂલતા નિયમનું પાલન નહીં કરનાર સ્કૂલવર્ધીના વાહનો સામે કડક કાર્યવાહી થશે.
પોલીસ અધિકારીઓ 11મી જૂને સ્કૂલ સંચાલકો સાથે મિટિંગ કરશે
વેકેશન બાદ આગામી 13મી જૂન ગુરુવારથી સ્કૂલો શરૂ થઇ રહી છે, ત્યારે સ્કૂલવર્ધીના વાહનોમાં નિયમોનું પાલન થાય છે,કે નહીં તેની તકેદારી રાખવાની જવાબદારી સ્કૂલ સંચાલકોની પણ છે. સ્કૂલ સંચાલકો પોતાની જવાબદારી નિભાવે તે માટે આગામી 11મી જૂને સ્કૂલ સંચાલકો સાથે ટ્રાફિક પોલીસના અધિકારીઓ મીટિંગ યોજીને જરૂરી સૂચના આપશે, જેમાં ટ્રાફિક નિવારણ માટે સ્કૂલની અંદર જ પીકઅપ અને ડ્રોપની વ્યવસ્થા કરવા કડક સૂચના અપાશે. આ પછી લાપરવાહી રાખી હોવાની ફરિયાદ મળશે તો કાર્યવાહી કરાશે.
સ્થળ પર વાહન ડિટેઇન થાય તો બાળકો માટે વ્યવસ્થા કરાશે
સુભાષબ્રિજ આરટીઓ જે.જે. પટેલે જણાવ્યું કે, સ્કૂલવર્ધીના વાહનો માટે જાહેર કરાયેલા નિયમોનું પાલન નહીં કરનાર વાહનને રસ્તા પરથી ડિટેઇન કરાશે. રસ્તા પર વાહન ડિટેઇન કરાય ત્યારે વાહનમાં બાળકો હશે તો આરટીઓ કે પોલીસ અધિકારીઓ બાળકોને સંબંધિત સ્કૂલ અથવા ઘરે પહોંચડવા સહિતની વ્યવસ્થા કરશે. બાળકોનું શિક્ષણ અટકે નહીં અને વાલીઓ ચિંતામાં આવે નહીં તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રખાશે.
નિયમોનું પાલન નહીં કરનાર 11 વાનનું ફિટનેસ કરાયું નહીં
નિયમોનું પાલન નહીં કરનાર 11 વાનનું ફિટનેસ કરાયું નથી. સુભાષબ્રિજ આરટીઓમાં 5મી જૂનથી સ્કૂલવર્ધીના વાહનો માટે ફિટનેસની કામગીરી શરૂ થઈ છે. આગામી દસ દિવસ ખાસ કામગીરી ચાલશે. બે દિવસમાં 53 વાનની ચકાસણી કરાઈ છે, જેમાં 42 વાનનું પાસિંગ કરાયું છે, 11 ના મંજૂર કરાઈ છે. સ્કૂલવર્ધીના 15 હજાર વાહનો હોવાથી સ્કૂલ શરૂ થાય તે પહેલા જ બંને આરટીઓમાં ફિટનેસની કામગીરી પૂરી કરવાનું આયોજન છે.


