- ગોતા બ્રિજ અને છારોડી પાસેનું ક્રોસિંગ બંધ
- ગોતા બ્રિજ-છારોડીનો ટર્ન બંધ થતાં રોષ
- વૈષ્ણોદેવી જવાના માર્ગ પર ટર્ન બંધ કરાયો
અમદાવાદમાં સરખેજ હાઇવેથી લઈ ગાંધીનગર સુધી સડસડાટ ગાડીઓ દોડે અને ટ્રાફિકનો એકડો જ નિકળી જાય એ માટે સરકાર અને તંત્ર એ મોટા મસ બ્રિજ બનાવ્યા અને ફોર લેન સુધી વિસ્તાર્યા પણ ખરા. જો કે, આ બધામાં ચૂંટણી ટાંકણે એક ખેલ ગોતા બ્રિજ અને છારોડી પાસેનાં ટર્નનો થઈ ગયો. અચાનક આ ટર્ન પર સરકારના તંત્રે યુ ટર્ન લઈ લીધો અને પછી ત્યાંથી જગતપુર અને બીજી નજીકની સોસાયટીઓ, ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો.
ક્રોસ કરવા વાળા લોકોને લઈ ટ્રાફિક જામ
ચૂંટણી ટાણે સ્વાભાવિક પણે જનતા ટ્રાફિકમાં ભરાય જાય તો પોષાય પણ લાલ લાઈટવાળી ગાડીઓ માટે બમ્પ કુદવા માટે ગાડી ધીરી પણ પાડવી હોય તો એ ગુના બરાબર હતી. આ એ ટર્ન હતો કે જ્યાં એસજી હાઇવે પર આમને સામને આવવા જવા કે ક્રોસ કરવા વાળાને લઈ ટ્રાફિક જામ થઈ જતો હતો.
સીધું પાકું ચણતર કરી દેવાયુ
ચૂંટણી ટાણે કોની સૂચના, કોને આ ક્રોસિંગ આંખમાં કણાની જેમ ખૂંચી ગયું કે અચાનક પેહલા ત્યાં બેરીકેડ લગાડવામાં આવ્યા બાદમાં સીધું પાકું ચણતર કરી દેવાયુ.. આટલું ઓછું હોય એમ વૈષ્ણોદેવી જવાના માર્ગ પર જમણી બાજુએ ટર્ન હતો એ પણ બંધ કરી દેવામાં આવ્યો.
લાખો રૂપિયાનું ઇંધણ ફૂંકાય છે
સરવાળે જે લોકો ગોતા બ્રિજ ઉતરીને ટર્ન લઈ પોતાના વિસ્તાર તરફ વળતા હતા એ હવે વૈષ્ણોદેવી સર્કલ સુધી ફરજિયાત પેટ્રોલ બાળે છે, સમય બરબાદ કરે છે, જે ઇંધણ બચાવવા માટે અને મંત્રીઓનો સમય બચાવવા આ ટર્ન પુરાયો તેના માટે હજારો લાખો રૂપિયાનું ઇંધણ ફૂંકાઈ રહ્યું છે.
ટ્રાફિક મેનેજમેન્ટનો અભાવ
આ ટર્ન પર પેહલા મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ટ્રાફિકનું મેનેજમેન્ટ કરતા હતા પણ ભર ટ્રાફિકમાં પણ એ લોકો કોઈ પાસે લાયસન્સ કે પછી કાળા કાચ કે પછી પીયૂસીના ચક્કરમાં દંડ ગણો કે જે ગણો તે ઉઘરાવવામાં લાગતા હતા અને પાછળ લાંબી લાઈનો અને હોર્ન વાગવા લાગતા.
બાજુમાં બેસવું અને બાજુમાં બેસાડીને ચલાવવામાં ફરક
આજે સરખેજથી નીકળેલો વ્યક્તિ જગતપુર કે આસપાસના વિસ્તારોમાં પોણા બે કલાકે પોહચે છે. નોકરી બાદ કલાકોનો ટ્રાફિક જામ કોઈ લાલ લાઈટવાળી ગાડીના મંત્રી કે અધિકારી કે કમિશનર લેવલના વ્યક્તિને સમજાવવું મુશ્કેલ છે કેમ કે બાજુમાં બેસવું અને બાજુમાં બેસાડીને ચલાવવું એમાં મોટો ફરક છે. આ કોઈ રાજકીય ટર્ન નથી કે જેને લોકો યુ ટર્નમાં ખપાવશે, પણ હાલમાં ગોતાબ્રિજથી છારોડી સુધીનો આ પ્રશ્ન જેના પણ ધ્યાનમાં આવે એમણે મતનો મલાજો જાળવીને પણ ઉકેલવાની જરૂર છે.. બાકી જય જગન્નાથ


