- મહિસાગર નદી પાસે લઈ જઈ પત્નીને નદીમાં પતિએ ધક્કો માર્યો
- સાળાએ બનેવી વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી
- મહેમદાવાદના વડદલા ગામના શખ્સે પોતાની પત્ની જ હત્યા કરી
મહેમદાવાદના વડદલા ગામના શખ્સે પોતાની પત્નીની જ હત્યા કરી દેતા સનસનાટી મચી ગઈ છે. પતિને પત્ની સાથે મનમેળ ન થતા છુટાછેડા લેવા માંગતા પતિએ પત્નીને મોટરસાયકલ પર બેસાડી મહિસાગર નદી પાસે લઈ જઈ પત્નીને નદીના પાણીમાં ધક્કો મારી મોત નિપજાવવાની ઘટના મામલે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી.
મૃતક મહિલાના ભાઈએ નોંધાવી ફરિયાદ
દસક્રોઈ તાલુકાના હરણીયાવ ગામે રહેતા નવલભાઈ વિષ્ણુભાઈ પરમારની સૌથી નાની બહેન હેતલ ઉર્ફે મિતલબેનના લગ્ન આજથી પાંચ વર્ષ અગાઉ મહેમદાવાદના વડદલા ગામે રામપુરા ભાઠા વિસ્તારમાં રહેતા રાજેશ અશોકભાઈ જાદવ સાથે જ્ઞાતીના રીતી રીવાજ મુજબ થયા હતા. સાસુ સસરા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હેતલ ઉર્ફે મિતલને સારા દિવસો રહેતા ચાર વર્ષ પહેલા એક પુત્રીનો જન્મ થયો હતો. આ પુત્રીના જન્મ બાદ છેલ્લા દોઢ વર્ષથી હેતલ ઉર્ફે મિતલ જ્યારે પોતાના પિયર આવે એટલે પોતાના પતિના ત્રાસ બાબતે હકિકત કહેતી હતી.તેણીની કહેતી કે તેના પતિ સારી રીતે બોલતા કે રાખતા નથી. અને નાની નાની વાતમાં ઝઘડાઓ કરી ત્રાસ આપે છે. તુ અહીંયાથી જતી રહે તને રાખવી નથી તેમ રાજેશ કહેતા હેતલ ઉર્ફે મિતલ પોતાના પિયરમાં આવી ગઈ હતી.
પતિએ પહેલા સમાધાન પણ કર્યુ
પિયરના માણસો આજે નહીં પણ કાલે સારૂ થઈ જશે તેમ આશ્વાસન આપી સાસરે મોકલતા હતા. અને પતિ રાજેશ પોતાના માતા-પિતાનુ પણ સાંભળતો ન હતો.ગયા દોઢ માસ અગાઉ હેતલ ઉર્ફે મિતલ તેની પુત્રી લઈને પોતાના પિયરમાં આવી પહોંચી અને સગા મોટાભાઈ નવલને પતિના ત્રાસની તમામ હકીકતો જણાવી હતી.આ બાબતે પત્નીએ મહેમદાવાદ પોલીસમાં પણ સુલેહ ભંગની અરજી આપી હતી. જોકે એ બાદ પતિ રાજેશ કહ્યું કે હવે આવુ ફરીથી નહીં થાય તેમ કહી સુખદ સમાધાન કર્યું હતું. આ પછી હેતલ ઉર્ફે મિતલના સાસુ, સસરા હેતલ ઉર્ફે મિતલને કડાદરા ગામે રહેવા લઈ ગયા હતા. જ્યારે મનમેળ ન બેસતા પતિ રાજેશ જાદવ મહેમદાવાદના વડદલા ગામે રામપુરા ભાઠા વિસ્તારમાં રહેતા હતા.
ભાઈએ બહેનની શોધખોળ કરી પણ ના મળી
ગત 28 મે 2024ના રોજ નવલભાઈના ઘરે માતાજીના બાધાના ગરબા રાખેલા હોય મિતલ ઉર્ફે હેતલ પોતાના સસરા સાથે ત્યાં આવી હતી. જોકે સસરા કામને લઈને પ્રસંગ પતાવી નિકળી ગયા હતા. બાદમાં રોકાયેલી હેતલ ઉર્ફે મિતલ લેવા તેનો પતિ આવ્યો હતો. 4 જુનના રોજ આ રાજેશ તેની પત્નીને તેડી ગયો હતો. અને સુધરી ગયો હોવાનું માની હેતલ ઉર્ફે મિતલ પોતાની પુત્રી સાથે વડદલા આવી ગઈ હતી.દરમિયાન બીજા દિવસે એકાએક નવલભાઈ પર પોતાના બનેવી રાજેશનો ફોન આવ્યો અને કહ્યું કે, તમારી બહેન ક્યાંક ગુમ થઈ ગઈ છે. અને ભાણી બાબતે તેમણે પુછતા ભાણી બાજુના ઘરમા છે તેવી હકીકત કહી હતી. રાત્રે લાઈટો ન હોવાથી ગરમીના કારણે પુત્રીને બાજુના ઘરમાં સુવડાવી અને હું અને તમારી બહેન સાથે સુતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ સવારે ઉઠતા હેતલ ઉર્ફે મિતલ ગાયબ હતી. આ બાદ સાળા, બનેવીએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ક્યા હેતલ ઉર્ફે મિતલની ભાળ મળી આવી નહોતી.

પતિએ પત્ની ગુમ થયાની અરજી કરી
રાજેશે આ બાબતે ખુદ મહેમદાવાદ પોલીસમાં પોતાની પત્ની ગુમ થયાની જાહેરાત દર્જ કરાવી હતી. દરમિયાન પોલીસથી જાણવા મળેલ કે કોઈ અજાણી મહિલાનો મૃતદેહ ભાદરવા પોલીસ સ્ટેશનની હદમાં આવતી મહિસાગર નદીના પાણીમાંથી મળી આવ્યો છે. જેથી ખરાઈ કરવા નવલભાઈ અને તેમના કૌટુંબિક લોકો ઉપરોક્ત ઠેકાણે દોડી આવ્યા હતા. જ્યાં કપડાના આધારે મહિલાના મૃતદેહની ઓળખ કરી હતી અને આ મૃતદેહ હેતલ ઉર્ફે મિતલનો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે આરોપીની કરી ધરપકડ
નવલભાઈ પોતાના બનેવી જ્યાં રહેતા હતા તે વડદલા ગામે પહોંચી તપાસ કરતા પડોશી દ્વારા માલુમ પડયુ કે, બનાવની રાત્રે રાજેશ જાદવ પોતાના મોટરસાયકલ લઈને પોતાની પત્નીને બેસાડી ક્યાંક ગયો હતો જે બાદ બીજા દિવસે સવારે એકલા રાજેશને ખાટલામાં સુતા જોયા હતા. જેથી નવલભાઈ અગાઉ પોતાની બહેન સાથે થયેલા પતિના અત્યાચાર મામલો જાણતા હોય અને છૂટાછેડા લેવા ઈચ્છતા પતિએ હેતલ ઉર્ફે મિતલને મોટરસાયકલ પર બેસાડીને મહિસાગર નદીમાં ધક્કો મારી દીધા હોવા બાબતની ફરિયાદ મહેમદાવાદ પોલીસ મથકે નોધાવી છે. પોલીસે હત્યા તેમજ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


