- ભાવનગર મનપા તંત્રની બેદરકારી
- ચોમાસાના સમયે શરૂ કરાયા રોડના કામ
- તંત્રની કામગીરી સામે ઠાણીકોમાં રોષ
હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ત્યારે હજી પણ ભાવનગર મનપા તંત્ર બુદ્ધિનું પ્રદર્શન કરવા નીકળ્યું હોય તેવો ઘાટ ધડાયો છે. ચોમાસાના સમયે હવે અગાઉ મંજૂર થયેલા રોડના કામ શરૂ કરવામાં આવ્યા છે. જેની સામે વિપક્ષ અને સ્થાનિકો દ્વારા અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે.
મનપા તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા
ભાવનગર મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં હાલ રસ્તાના કામો શરૂ કરવામાં આવ્યા છે. શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમાં નવા ડામર રોડ તેમજ અન્ય વિસ્તારમાં પેવર રોડના કામો શરૂ કરવામાં આવ્યા છે. હવે ચોમાસુ લગભગ શરૂ થઈ ગયું છે. ત્યારે તેવા સમયે જ રોડના કામો શરૂ થતા મનપા તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. સરકારે આમ તો, 15 જૂન સુધીમાં પેવર રોડ સહિતના કામો પૂરા કરવા માટે આદેશ આપી દીધા છે. પરંતુ કેટલાક કામો સમયસર પૂરા થશે કે નહીં તેણે લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં થિંગડા મારવાનું કામ ચાલુ છે અને જો વરસાદ આવશે તો રોડના કામની ગુણવત્તા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.
તંત્ર પ્રજાના ટેકસના પૈસા વેડફી રહ્યું છે!
ભાવનગર મનપા દ્વારા અગાઉ પાસ થયેલા રોડના કામો અત્યારે શરૂ કરાતા લોકો અચંબામાં પડી ગયા છે. ભાવનગરમાં મનપા કચેરી સામે બની રહેલા રોડના કામો સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે, રાજાશાહી સમયનો આ રોડ બરોબર હોવા છતાં પણ કોન્ટ્રાકટરને કમાણી કરાવવા મનપાનું તંત્ર આ રીતે પ્રજાના ટેકસના પૈસા વેડફી રહ્યું છે. જોકે અધિકારીનું કહેવું છે કે હજુ વરસાદની સિઝન શરૂ થઈ નથી અને વરસાદ પહેલા રોડના કામ પૂરા થઈ જશે.
તંત્ર શું સાબિત કરવા માગે છે?
ભાવનગર મનપા તંત્રની આ બેદરકારી જોઈને લોકો કહી રહ્યા છે કે, ચોમાસાના દિવસોમાં રસ્તાના કામો શરૂ કરીને તંત્ર શું સાબિત કરવા માગે છે તે હજી સુધી સમજી શકાતું નથી. હાલ ચોમાસાની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે મનપા દ્વારા શરૂ કરવામાં આવેલા રોડના કામો ક્યારે પુરા થશે તે પણ એક મોટો સવાલ છે.


