- ધ્રાંગધ્રાના હરીપર પાસે સાઈકલ લઈને જતા ખેડૂતને કારે ટક્કર મારતા મોત
- લખતરના ઝમર પાસે ચાલુ બાઈકે પડી જતા મહિલાનું મોત
- બજાણામાં બાઈક ચાલકનું ટ્રક અડફેટે મોત
- વડોદ કેનાલ પાસે ટ્રક પાછળ ડમ્પર ઘૂસી જતા ચાલકનું મોત
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના હરીપર પાસે, દસાડાના બજાણા, વડોદ કેનાલ પાસે અને લખતરના ઝમર પાસે અકસ્માતના 4 બનાવ બન્યા છે. જેમાં હરીપર પાસે ખેડૂતનું, બજાણામાં બાઈક ચાલકનું, વડોદ પાસે ડમ્પર ચાલકનું તથા ઝમર પાસે મહિલાનું મોત થયુ છે. બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામે રહેતા જાદવજીભાઈ ભગવાનભાઈ ભુવા તા. 12ના રોજ રાતના સમયે સાયકલ લઈને વાડીએ હરીપર ગામ તરફ આવતા હતા. ત્યારે પાછળથી પુરઝડપે આવેલી કારના ચાલકે સાયકલ સાથે કાર અથડાવી અકસ્માત કર્યો હતો. જેમાં તાત્કાલીક જાદવજીભાઈને 108 દ્વારા ધ્રાંગધ્રા સરકારી દવાખાને લઈ જવાયા હતા. જયા માથાના ભાગે, કપાળના ભાગે અને કમરે ઈજા થતા જાદવજીભાઈનું મોત થયુ હતુ. બનાવની મૃતકના ભાઈ ઘનશ્યામભાઈ ભુવાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એસ.એ.ખાંભલા ચલાવી રહ્યા છે. જયારે લખતરથી 24 વર્ષીય ગાયત્રીબેન વાલજીભાઈ નંદીયાણીયા વતન મુળી તાલુકાના દીગસર ગામે તેમના દીયર સાથે બાઈક પર જતા હતા. ત્યારે લખતર અને ઝમર વચ્ચે ચાલુ બાઈકે અચાનક ગાયત્રીબેન નીચે પટકાયા હતા. જેમાં તેઓને માથાના ભાગે ઈજા થવાથી પ્રથમ લખતર સરકારી દવાખાને અને ત્યારબાદ સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. જયાં સારવાર દરમીયાન તેઓનું મોત થયુ હતુ. બનાવની લખતર પોલીસને ફરજ પરના ડોકટરે જાણ કરતા એચસી રાજભા સોલંકી, અનીલસીંહ ઝાલા સહિતનાઓએ દોડી જઈ અકસ્માતની વિગતો લઈ ફરીયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે. બીજી તરફ દસાડા તાલુકાના બજાણા ગામે રહેતા સંજયભાઈ ખોડાભાઈ ઓડ તા. 12 જુનના રોજ સવારે બાઈક લઈને જતા હતા. ત્યારે બજાણાની જુની જેલ પાસે ઢાળમાં ટ્રક ચાલકે ગફલતભરી રીતે ચલાવી બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં સંજયભાઈ બાઈક સહિત રોડ પર પટકાયા હતા. અને ટ્રકના ટાયર તેમના ફરી વળતા સંજયભાઈનું મોત થયુ હતુ.
બનાવની મૃતકના માતા નબુબેન ઓડે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ કે.જી.પારધી ચલાવી રહ્યા છે. આ ઉપરાંત જયારે વઢવાણ તાલુકાના વડોદ ગામ નજીકની કેનાલ પાસે નેશનલ હાઈવે પર પસાર થતી ટ્રક પાછળ ડમ્પર ઘુસી ગયુ હતુ. જેમાં ડમ્પર ચાલક મુળ મુળીના અને હાલ જોરાવરનગરમાં રહેતા ભરતભાઈ ચતુરભાઈ પરમારનું મોત થયુ હતુ. બનાવની જાણ થતા જોરાવરનગર પોલીસ મથકના કે.બી.ખેર સહિતનાઓ દોડી ગયા હતા. અને લાશને પીએમ માટે દવાખાને ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


