પોલીસ કમિશનર કચેરીને ઘેરાવ : ગેનીબેન, જેનીબેન, ગાયત્રીબા વાઘેલા, અમિત ચાવડ, જીજ્ઞેશ મેવાણી, લલીત કગથરા, લાલજી દેસાઇ, ઋત્વીક મકવાણા, વિમલ ચુડાસમા સહિતના કોંગ્રેસ નેતાઓએ મૃતકોને ન્યાય આપવા કરી માંગણી
પોલીસ કમિશનર કચેરી આસપાસના રસ્તાઓ પર ચક્કાજામ
સંસદમાં ટીઆરપી ગેમઝોનના મૃતકોને ન્યાય અપાવવા ગેનીબેન કરશે રજુઆત

ટીઆરપી આગકાંડમાં બે-બે સીટ દ્વારા છેલ્લા ૧૫ દિવસથી ચાલતી તપાસમાં ફીફા ખંડાતા હોવાના આક્ષેપ સાથે આજે કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકરોએ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે પાવરપેક વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, બનાસકાંઠાના કોંગી સાંસદ ગેનીબેન ઠાકોર, અમરેલીના યુવા મહિલા અગ્રણી જેનીબેન ઠુંમર, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, લલીત કગથરા, વિમલ ચુડાસમા, ડો.હેમાંગ વસાવડા સહિતના પ્રદેશ કક્ષાના અગ્રણીઓ અને શહેર કોંગ્રેસના અગ્રણીઓ તથા કોંગ્રેસ, એનએસયુઆઇના કાર્યકરોએ આજે સવારે ૧૧ વાગ્યે કોંગ્રેસ કચેરીએ જબ્બર દેખાવો કર્યા હતાં. કોંગ્રેસના કાર્યકરોને પોલીસ કમિશનર કચેરીમાં પ્રવેશ ન અપાતા તેઓએ રસ્તા પર બેસી જઇ ચક્કાજામ આપ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના રાજમાં ટીઆરપી ગેમઝોનની તપાસમાં મૃતકોના પરિવારજનોને ન્યાય નહી મળતાં હોવાના આક્ષેપ કર્યા હતાં.
કાર્યકરો એ ચક્કાજામ સાથે બેનરો પ્રદર્શિત કર્યા હતા. જેમાં લખાણ હતું કે ફૂટેલા કારતુસો ટીઆરપી આગકાંડના મૃતકોના પરિવારને ન્યાય આપી શકશે નહી. તાત્કાલીક તટસ્થ તપાસ આપો. કાર્યકરોને એક તબક્કે અટકાવતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી. પરંતુ સમય વર્તે સાવધાનીનું સૂત્ર અપનાવી પોલીસે પણ સંયમ જાળવ્યો હતો. અપવાદરૂપ સિવાય કાર્યકરોને રસ્તાઓ પર ઢસડવામાં આવ્યા ન હતા. માત્ર કોર્ડન કરીને દેખાવો કરવામાં આવ્યા હતાં.
ગુજરાતના ઇતિહાસમાં નજીકમાં કયારેય જોવા ન મળ્યું હોય તેટલું તીવ્ર આંદોલન રાજકોટ ખાતે છેડાયું છે. જેની ગુંજ ગાંધીનગર સુધી સંભળાશે. રાજકોટના તમામ મીડિયા ઉપરાંત અમદાવાદથી જુદી-જુદી ચેનલોના પત્રકારો રાજકોટમાં ઉતરી આવ્યા હતા અને કલાકો સુધી ટીઆરપી કાંડના વિરોધ પ્રદર્શનનું લાઇવ પ્રસારણ કર્યુ હતું તેમજ કોંગ્રેસના નેતાઓના રોષને પ્રદર્શિત કરતી મુલાકાતો રજૂ કરી હતી.
અત્રે એ યાદ આપવું જરૂરી છે કે ૨૫મી મેના રોજ બનેલા બનાવમાં સીટ અને ત્યારબાદ પોલીસની ક્રાઇમ બ્રાંચ દ્વારા અલગ સીટની રચના કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી નાની માછલીઓ જ પકડાઇ છે. પોલીસ કમિશનર અને આરએમસી કમિશનર સહિતના મુખ્ય સુત્રધારો અને ભાજપના પદાધિકારીઓ સુધી તપાસ પહોંચી નથી તેવો કોંગ્રેસનો ખુલ્લો આક્ષેપ છે. આ તપાસ નિષ્પક્ષ પણે થાય અને દોષિતોને ઝડપી લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

ગેની અને જેની બની રાજકોટની બેની
રાજકોટના ટીઆરપી આગકાંડમાં ૨૭ માણસો જીવતા ભુંજાઇ જવા છતાં પોલીસ અને રાજય સરકાર તપાસમાં ફીફાં ખાંડી રહી હોવાના આક્ષેપ સાથે આજે કોંગ્રેસ પૂરી તાકાતથી વિરોધ પક્ષ તરીકે મેદાનમાં આવ્યો હતો. કોંગ્રેસના તમામ નેતાઓએ સંગઠનની તાકાત બતાવી રાજકોટમાં પોલીસ કમિશનર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કર્યો હતો. આજના આંદોલનમાં બનાસકાંઠાના સાંસદ અને સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય બની ગયેલા ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિએ મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું. એ જ અમરેલીના જેનીબેને પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મીડિયા સમક્ષ ગેનીબેને જણાવ્યું હતું કે આ આગકાંડમાં સરકારે નીમેલી સીટ ખાસ પરિણામ લાવી શકી નથી. જરૂર પડયે રાજકોટના આગકાંડના મૃતકોને ન્યાય અપાવવા હું આ મામલો સંસદમાં પણ ઉઠાવીશ.

બદલાતા પવનને સલામ : પોલીસે પ્રથમ વખત સંયમ જાળવ્યો
લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટ પોલીસ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કોઇપણ આંદોલન થાય તે પહાલ જ તેની હવા કાઢી નાંખતા હતાં. મુખ્ય અગ્રણીઓની અટકાયત કરતા હતાં. તેમજ વિરોધ પક્ષના કાર્યકરો સાથે પોલીસ કડક હાથે કામ લેતી હતી. પરંતુ આજે કોંગ્રેસની પાવરપેક રેલી અને વિરોધ પ્રદર્શન સમયે પોલીસે ખૂબ જ સંયમ રાખ્યો હતો. એકાદ બે ચકમક ઝરવા સિવાય પોલીસે ખૂબ જ સલુકાઇથી કામ લીધુ હતું. કાર્યકરોએ હસ્તા હસ્તા કહ્યું હતું કે બદલાતા પવનને આ સલામ છે.

કાર્યકરો એસટી બસ ઉપર ચઢી ગયા
રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે આજે કોંગ્રેસના જબ્બર વિરોધ પ્રદર્શન સમયે કાર્યકરો ખૂબ જ જોશમાં આવી ગયા હતા. એનએસયુઆઇના કેટલાક યુવા કાર્યકરોએ તથા કોંગ્રેસના અનુભવી કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન સાથે એસટીની બસો પર ચડી જઇ સુત્રોચ્ચાર કર્યા હતાં. થોડીવાર માટે પોલીસે રેસકોર્ષની ચારે તરફના અવર-જવરના રસ્તા બંધ કરી અન્ય માર્ગો પર ટ્રાફિક વાળવો પડયો હતો.


