- ચોમાસામાં સેંકડો ગામની જનતા સહિત વિદ્યાર્થીઓને પરેશાની વેઠવી પડશે
- વર્ષ 2022માં મંજૂર થયેલા બ્રિજની કામગીરી અધૂરી રહેતા પંથકના લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી
- મેરિયા નદીના બ્રિજની મંથરગતિએ ચાલી રહેલી કામગીરી જે આગામી ચોમાસા પહેલાં પૂર્ણ થાય તેવી કોઇ પરિસ્થિતિ નથી.
ચોમાસાની શરૂઆતને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બોડેલી તાલુકાના રણભુન – પાટીયાને જોડતા મેરિયા નદીના બ્રિજનું કામ પૂર્ણ થયું ન હોવાથી બે ગામો સહિત સેકડો ગામોની હજારો જનતાને હાલાકી ભોગવવાનો વારો આવશે.
બોડેલી તાલુકાના રણભુન – પાટીયા ગામની વચ્ચેથી પસાર થતી મેરિયા નદીના બ્રીજનુ કામ મંથરગતિએ ચાલતું હોવાથી આગામી સમયે ચોમાસામાં હજારો વાહન ચાલકો તેમજ સેકડો ગામના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવશે. સતકેવલ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતા સેકડો વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં મુકાશે તેવી વિદ્યાર્થીઓને સતાવતી દહેશત.
વર્ષ-2022થી મંજૂર થયેલ રણભુન પાટીયાને જોડતા મેરિયા નદીના બ્રિજનું કામ હજી પૂર્ણ થયું નથી. આગામી ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થશે અને આ બીજનું કામ કોઈ પણ સંજોગોમાં ચોમાસા પહેલા પૂર્ણ થાય તેમ નથી કારણ કે અત્રે કામ કરતા કોન્ટ્રાક્ટરો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે 11 પિયર અને બે બટ મેન સાથે આ બ્રિજ તૈયાર થશે પરંતુ ચાર જ પિયર તૈયાર છે બાકીના પિયરમાં પથ્થર આવી જતા તે કામ અટકેલું છે આ અંગે સરકારમાં કોર ડેટા મોકલી આપ્યા છે ત્યાંથી જે પ્રમાણેના ઓર્ડર થાય તે પ્રમાણે આગળની કામગીરી હાથ ધરાશે તેમ અત્રે કામ કરતા કોન્ટ્રાક્ટરોએ જણાવ્યું હતું.
ઘણા વર્ષોથી આ બ્રિજનું કામ ખોરંભે પડયું હતું. 2022 બાદ આ બ્રિજ મંજૂર થયો હતો. જેનું કામ 2024 માં બ્રિજને ખાતમુરત કરી કામ ચાલુ કરાયું હતું. હાલ અત્રે ની કામગીરીમાં બ્રેક લાગ્યો હતો. થોડા સમય પહેલા જ કામકાજ શરૂ કરાયું હતું. અહીંથી રોજ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેમજ છોટાઉદેપુર જિલ્લાના અનેક વાહન ચાલકો હજારોની સંખ્યામાં પસાર થાય છે. એ સિવાય એક ગામથી બીજે ગામ દૂધ ભરવા માટે જતા પશુપાલકોની પણ આ બ્રિજ પરથી અવર-જવર રહે છે. અત્રેના 10 થી 15 ગામોના 9થી 12ના સેંકડો વિદ્યાર્થીઓ રણભુન ગામે આવેલ સતકેવલ વિદ્યામંદિરમાં અભ્યાસ અર્થે પણ અવરજવર કરતા હોય છે અને હાલ શાળાઓ ચાલુ પણ થઈ ગઈ છે.
હાલ બ્રિજની કામગીરી ઘણી બાકી છે અને કોર ડેટા મોકલ્યા બાદ ઉચ્ચ કક્ષાની મંજૂરી મળ્યા બાદ આગળ આ બ્રિજને કઈ રીતે પૂર્ણ કરવો તેનું આયોજન કરાશે હાલ અત્રે બ્રિજની બાજુમાં બનાવેલ ડાયવર્ઝન પણ એક જ વાર નદીમાં પાણી આવશે એટલે ધોવાશે ત્યાર બાદ બોડેલીના બુમડી પંથકના 10થી 15 ગામો તેમજ ઉચાપાન પંથકના 30થી 35 ગામો સહિત છોટાઉદેપુર જિલ્લાના તથા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અનેક વાહન ચાલકો અત્રેથી પસાર થાય છે તેઓને આગામી ચોમાસામાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે તેમાં કોઈ અતિશયોક્તિ નથી.
મધ્ય ગુજરાતના અતિ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સૌથી વધુ જો કોઈ શ્રાદ્ધાળુ ભક્તજનો આવતા હોય તો તે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના છે જ્યારે નજીકમાં ચેલાવાડા બાબાદેવ ખાતે પણ ગુરૂવાર અને રવિવારે હજારોની સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશમાંથી ભક્તો શ્રાદ્ધાળુ આવતા હોય છે. આ તમામ માટે રણભુન ઘાટી થી શિહોદને જોડતા આ માર્ગ આશીર્વાદરૂપ છે તેઓની આ રોડ પરથી ભારે અવરજવર રહે છે.
લોકોને 15થી 20 કિ.મી.નો ફેરો ફરવાનો વારો આવશે
રણભુન પાટીયા વચ્ચે માત્ર 500થી 600 મીટર નું અંતર છે આ બે ગામ વચ્ચે માત્ર મેરિયા નદીનું અંતર છે બુમડી પંથકના દસ ગામો સહિત પાટીયા ગામના રહીશોને ચોમાસામાં કામકાજ અર્થે કે દૂધ ભરવા રણભુન કે બોડેલી હાલોલ કે પછી અન્ય શહેરમાં જવું હોય તો તેઓને 15 KM ફરી જબુગામ થઈ બોડેલી પહોંચાય કે પછી 10 કિલોમીટર ફરી જાંબુઘોડા થઈ બોડેલી જવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે.


