- માતૃવંદના, નમોશ્રી યોજનાના નામે ફોન આવે તો સાવધાન
- ફ્રોડ અટકાવવા માટે આરોગ્ય વિભાગે જાહેર કર્યો પરિપત્ર
- ફ્રોડકોલ માટે લોકલ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરવા સૂચના
છેલ્લા કેટલાક સમયથી સાઈબર ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકારે પણ નાગરિકોને સર્તક રહેવા માટે અપીલ કરી છે અને ફ્રોડ અટકાવવા માટે સરકારના આરોગ્ય વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં માતૃવંદના, નમોશ્રી યોજનાના નામે ફોન આવે તો સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે.
કોઈપણ જાહેરાતો કે લોભ લાલચમાં ના આવવા માટેની અપીલ
કેટલાક લેભાગુ તત્વો દ્વારા ફોન કરીને સામાન્ય લોકો પાસેથી આ યોજનાઓના નામે OTP, લાભાર્થીના આધારકાર્ડ અને બેન્કની વિગતો માગવામાં આવે છે અને ત્યારબાદ ફ્રોડ કરવામાં આવે છે. ત્યારે આવી કોઈપણ જાહેરાતો કે લોભ લાલચમાં ના આવવા માટે સૂચના આપી છે અને જો આવા કોઈ કેસના તમે શિકાર બન્યા હોય તો ફ્રોડકોલ માટે લોકલ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
રકમ ભલે નાની હોય પણ ફરિયાદ જરૂર નોંધાવો
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કરોડો રૂપિયાના ફ્રોડ આ રીતે લોકો સાથે થયા છે અને કેટલાક લોકો સામાન્ય રકમ સમજીને ફરિયાદ નોંધાવવાનું ટાળે છે અને એટલે જ આવા લેભાગુ તત્વોને મોકળો માર્ગ મળતો જાય છે અને સામાન્ય નાગરિકોને પોતાની જાળમાં ફસાવીને કરોડો રૂપિયા ખંખેરી લે છે.


