- ચૂંટણી પુરી થતા પોરબંદર લોકસભા બેઠક પર હોબાળો
- લોકસભા ચૂંટણી પહેલા અરવિંદ રૈયાણી ભાજપમાં જોડાયા હતા
- પેટાચૂંટણીમાં ભાજપે અરવિંદ રૈયાણીને આપી હતી ટિકીટ
તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીઓ પુરી થઈ ત્યારે પોરબંદર લોકસભા ક્ષેત્રમાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. આગામી ટૂંક સમયમાં માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા કંઇક નવાજૂની કરે તેવું લાગી રહ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરથી ભાજપનું ચિહ્ન (કમળ) તેમન ભાજપને લગતી તમામ પોસ્ટ પણ રિમૂવ કરી દીધી છે.
2019માં કોગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
જવાહર ચાવડાએ મનસુખ માંડવીયાને ઉદ્દેશીને એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, ‘મારી ઓળખ પર ભાજપે પોતાની ઓળખ બનાવી છે. મેં છ જિલ્લાના 21 તાલુકાઓમાં અભિયાન ચલાવીને 75 હજારથી વધુ પરિવારોને બીપીએલનો લાભ અપાવ્યો છે. ઉલ્લેખનીય છે કે 2019માં જવાહર ચાવડા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.
લાંબા સમયથી નારાજ છે ચાવડા
જૂનાગઢ લોકસભા અને માણાવદર વિધાનસભા પેટા ચુંટણીના પ્રચાર-પ્રસારમાં અલિપ્ત રહ્યા બાદ અચાનક પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા જાહેરમાં દેખાયા હતા, અને ભાજપના ઉમેદવારોને હરાવવા પ્રયાસો કર્યાના આક્ષેપો બાદ તેઓએ માણાવદરમાં સમર્થકો સાથે બેઠક યોજતા આગામી દિવસોમાં નવાજુનીના એંધાણ વર્તાઈ રહ્યા હતા.જ્યારથી લોકસભાની ચુંટણી જાહેર થયેલ છે, ત્યારથી પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપના એકેય સભા, સરઘસ, બેઠકોમાં ગેરહાજર જોવા મળ્યા હતા, વડાપ્રધાન, મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરીમાં યોજાયેલા તમામ કાર્યક્રમોમાં જવાહર ચાવડાની સૂચક ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. તેવામાં લોકસભા-વિધાનસભાની બેઠક માટે મતદાન પૂર્ણ થયા બાદ માણાવદરના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર પાઠવીને ફરિયાદ કરી હતી.
જવાહર ચાવડાના પુત્રએ પણ બેઠકો કરી હતી
જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાએ મતદાન પૂર્વે પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવીયા અને માણાવદરના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા માટે બેઠકો કરીને કોંગ્રેસ તરફી મતદાન કરવા અપીલ કરી પક્ષ વિરોધી પ્રવૃતિ કર્યાનો આક્ષેપ કર્યો હતો, તેના પછી વિદેશથી આવ્યા બાદ જવાહર ચાવડાએ માણાવદરમાં તેમના સમર્થકો સાથે બેઠક કરી હતી, જો કે, આ બેઠક વિદેશથી આવ્યા બાદ શુભેચ્છા મુલાકાત હોવાનું જણાવાઈ રહ્યું છે, પરંતુ આ બેઠક નવાજુનીના એંધાણ દર્શાવી રહ્યા હતા.
કોગ્રેસ તરફી મતદાન કરવા અપીલ કરી હતી ચાવડાના પુત્રએ
માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવારોને હરાવવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના પુત્રએ ખુલ્લેઆમ પોતાની ફેક્ટરીમાં અને અન્ય સ્થળે મિટિંગો બોલાવીને કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે કામ કરીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ આચર્યાનો ખુલ્લો પત્ર અરવિંદ લાડાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખને મોકલતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો.
જવાહર ચાવડાનો લેટર વાયરલ થયો હતો
માણાવદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ લખેલા પત્રમાં જણાવ્યું હતુ કે, પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભા ચૂંટણીમાં છેલ્લા દિવસોમાં રાજ્યના માજી કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા તેમના પુત્ર તથા તેમના પત્નીને આગળ રાખીને માણાવદર શહેરમાં તા.4 મેં ના રોજ તેમની નૂતન જિનિંગ ફેક્ટરીમાં તેમના નજીકમાં અંદાજે 700 થી 800 કાર્યકરોની સાંજે મિટિંગ બોલાવી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા તેમજ અરવિંદ લાડાણીનો નામ જોગ ઉપયોગ કરીને ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની હાકલ જવાહર ચાવડાના દીકરા રાજ ચાવડાએ કરેલ હતી.


