પી.એમ.જે.વાય યોજના અને અન્ય સરકારી યોજનાનો ખોટો લાભ લેવા 65 લાખના દાવા સરકાર પાસે મૂકતા પોલ ખુલી
રાજય સરકાર દ્વારા પીએમજે વાય યોજના અંતર્ગત દર્દીઓને રૂપિયા 10 લાખ સુધીનું કવચ આપવામાં આવે છે પરંતુ કેટલીક હોસ્પિટલો દ્વારા આ યોજનાનો ખોટો લાભ લેવા માટે દાખલ થતા દર્દીઓને વધુ દિવસ હોસ્પિટલમાં રાખી અને સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે ત્યારે રાજકોટ લક્ષમીનગર મેઈન રોડ પર, ત્રિશુળ ચોકમાં આવેલ ડો.હિરેન મશરૂની નિહિત બેબીકેર હોસ્પિટલ કમીશનર આરોગ્ય તબીબ ની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતા 116 કેસમાં ગેરરીતિ માલુમ પડતાં રૂપિયા 6.54 કરોડની પેનલટી ફટકારવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે નિહિત બેબીકેર હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓઓના ખોટા રીપોર્ટ બનાવી અને સરકાર દ્વારા પીએમજી યોજનાના રૂપિયા 10 લાખની સહાય મેળવવા માટે ખોટા રીપોર્ટ બનાવી અને સરકર પાસેથી વધુ નાણા વસુલ કરવામાં આવ્યા હતા .તેવી જાણ રાજયના આરોગ્ય વિભાગને થતા ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને રેકોર્ડ તપાસતા તેમાં 116 કેસમા ગેરરીતિ થઈ હોવાનું પ્રકાશમાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા રૂપિયા 65 લાખ વસુલ કરવા માટે સરકારને ભલામણ કરવામાં આવતા રાજયના આરોગ્ય વિભાગ દ્વારા 10 ગણી પેનલટી ગણી અને રૂપિયા 6.50 કરોડની પેનલટી સરકારે ફટકારી છે.
આ ઉપરાંત રાજય સરકારની આરોગ્ય કમિશનર કચેરી દ્વારા ઉપરોક્ત હોસ્પિટલ દ્વારા ઉપરોક્ત હોસ્પિટલને જો કલેઈમનુ ચુકવણું કરવામાં આવ્યું હશે તે પરત કરવાનું રહેશે અને હોસ્પિટલને પીએમજે વાય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે તેવો હુકમ અધિક નિયામક આરોગ્ય તબીબ સેવા દ્વારા કરવામાં આવ્યો છે.
હોસ્પિટલનુ રજીસ્ટ્રેશન રદ થવાની શકયતા
લક્ષ્મીનગર મેઈનરોડ પર આવેલ નિહિત બેબીકેર હોસ્પિટલ માંથી 116 જેટલા ખોટા કેસ મુકીને સરકાર પાસેથી વધુ નાણા લેવામાં આવતા આ સમગ્ર કેસની તપાસ મેડીકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે અને સંભવત આ હોસ્પિટલનુ રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.


