- સુરેન્દ્રનગર-વઢવાણ બિલ્ડર એસોસિયેશન દ્વારા રજૂઆત
- સુરેન્દ્રનગર શહેરના છેવાડાના વિસ્તારમાં ભાવ ઘટાડો
- વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓને રાહત આપવા પણ માગણી કરાઈ
સમગ્ર રાજયમાં ગત ઓગસ્ટ-2023થી ડબલ જંત્રીના ભાવ અમલી થયા છે. ત્યારે રાજય સરકાર હાલ આ ભાવમાં પણ વધારો કરવાનું વિચારી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ બિલ્ડર એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી જંત્રીના ભાવ ન વધારવા સહિતની માંગણી કરાઈ છે.
રાજય સરકારે ગત વર્ષ 2023ની શરૂઆતમાં એકાએક જંત્રીના ભાવ ડબલ કરી નાંખ્યા હતા. આથી સમગ્ર રાજયમાં ઉહાપોહ થયો હતો. ત્યારબાદ સરકારે સમય મર્યાદા આપીને ઓગસ્ટ માસથી જંત્રીના ભાવ ડબલ કરી દીધા છે. હાલ રાજય સરકાર આ ડબલ કરેલા ભાવમાં પણ વધારો કરવાનું વિચારી રહી છે. જેના માટે 4 દિવસ પહેલા ગાંધીનગર ખાતે બેઠક પણ યોજાઈ હતી. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ બિલ્ડર એસોસિયેશન દ્વારા આ બાબતે સીએમને લેખિત રજૂઆત કરાઈ છે. જેમાં એસોસિયેશનના પ્રમુખ કે.સી.શાહના જણાવાયા મુજબ સરકારે નવી જંત્રીમાં 100 ટકા ભાવ વધારો કર્યો છે. ત્યારે ખાસ કરીને શહેરના છેવાડાના વિસ્તારોમાં પ્લોટ અને મકાનની હાલની બજાર કિંમત કરતા જંત્રી વધુ આવે છે. આથી સોદા થતા અટકી ગયા છે. બીજી તરફ બહુમાળી ઈમારતોમાં પણ ગ્રાઉન્ડ ફલોર, પ્રથમ માળ, બીજા માળ એમ દરેક માળની જંત્રી અલગ હોવી જોઈએ. જયારે સ્ટેમ્પ ડયુટી 4.90 ટકાના બદલે 4 ટકા કરવા, નોંધણીની ફીની જેમ મહિલાઓને અને સીનિયર સીટીઝનોને સ્ટેમ્પ ડયુટીમાં એક-બે ટકાની રાહત આપવા જણાવાયુ છે.
આ ઉપરાંત મહારાષ્ટ્રમાં જેમ વેચાણ દસ્તાવેજ થયાના એક વર્ષમાં ફરી વાર તે મીલકતનો વેચાણ દસ્તાવેજ થાય તો અગાઉ ભરેલ સ્ટેમ્પ ડયુટીની અમુક રકમ પરત અપાય છે. તેવી સ્કીમ ગુજરાતમાં પણ લાગુ કરવા રજૂઆતના અંતે માંગણી કરાઈ છે.


