- બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ સવારની ડેમુ ટ્રેન બંધ કરાતા સાળંગપુર જતા દર્શનાર્થીઓને પણ હાલાકી
- નોકરિયાત મુસાફરોમાં રોષની લાગણી : એકસ્ટેશન ન મળતા સવારની ડેમુ બંધ કરાઈ : રેલવે વિભાગ
- બોટાદથી સવારથી 4 કલાકે ઉપડી ધ્રાંગધ્રા પહોંચી અને ત્યાંથી ઉપડી ડેમુ ટ્રેન બોટાદ જતી હતી
બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ વચ્ચે દોડતી સવારની ડેમુ ટ્રેન અચાનક બંધ કરી દેવાતા મુસાફરોને હાલાકી પડી રહી છે.
વધુમાં મળતી માહિતી મુજબ બોટાદથી સવારથી 4 કલાકે ઉપડી ધ્રાંગધ્રા પહોંચી અને ત્યાંથી ઉપડી ડેમુ ટ્રેન બોટાદ જતી હતી. જેમાં લીંબડી, ચૂડા, રાણપુર અપડાઉન કરતા સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રાના મુસાફરો અને સાળંગપુર દર્શને જતા દર્શનાર્થીઓને આ ટ્રેન સુગમ રહેતી હતી. જોકે, આ ટ્રેન સવારે બોટાદથી ધ્રાંગધ્રા ખાલી જ જતી હતી. બીજી તરફ સાંજની 5-45 કલાકે બોટાદથી ઉપડી ડેમુ ટ્રેન ધ્રાંગધ્રા જઈ ત્યાંથી બોટાદ રાત્રે પરત ફરે છે. આ ટ્રેન ધ્રાંગધ્રાથી બોટાદ ખાલી જ જાય છે. ત્યારે સવારની ટ્રેન બંધ કરવાના બદલે સાંજે બોટાદથી આવતી ટ્રેનને ધ્રાંગધ્રા હોલ્ટ આપી સવારે દોડાવાય તેવી માંગણી નિયમિત અપડાઉન કરતા મુસાફરોની છે. આ અંગે અપડાઉન કરતા રાહુલસીંહ ઝાલા, સીધ્ધરાજસીંહ સોલંકી સહિતનાઓએ સુરેન્દ્રનગર ગેટ, લીંબડી, રાણપુર સહિતના રેલવે સ્ટેશન માસ્તર અને ભાવનગર ડીઆરએમને લેખિત રજૂઆત કરી છે અને સવારની ડેમુ ટ્રેન ચાલુ રાખવા માંગ કરી છે. આ અંગે ભાવનગર રેલવે ડીવીઝનના પીઆરઓ શંભુભાઈએ જણાવ્યુ કે, સવારની ડેમુ ટ્રેનનું એકસટેન્શન ન મળતા હાલ બંધ કરાઈ છે. એકસટેન્શન મળતા જ ફરી આ ટ્રેન શરૂ થઈ જશે.


