ચાર દિવસથી સરકારી મદદ ન મળતાં અસંખ્યા યાત્રિકો જોશીમઠથી ઋષિકેશ વચ્ચે ફસાયા
મોબાઇલ નેટવર્ક નહિવત, ઇન્ટરનેટની સેવા માત્ર રાત્રે જ મળે છે
ચાર દિવસ પૂર્વે જોશીમઠથી તળેટી તરફ આવતા રસ્તામાં એક ટનલ ઉપરનો પર્વત ધસી પડતાં જોશીમઠ અને ઋષિકેશ વચ્ચેનો માર્ગ સદંતર બંધ થઇ ગયો છે. આજે ચાર દિવસ થવા છતાં પણ તંત્ર આ માર્ગને ખોલી શકયું નથી. બદ્રીનાથની યાત્રાએ ગયેલા સૌરાષ્ટ્રના 3પ૦થી વધુ યાત્રિકો અહીં ફસાઇ ગયા છે અને મદદ માટે પોકાર લગાવી રહ્યા છે. ખાસ કરીને આ વિસ્તારમાં ખોરાકનો પુરવઠો ખૂબ જ ઓછો હોવાથી મર્યાદીત માત્રામાં લોકોને બેફામ પૈસા ખર્ચીને જીવન ટકાવવા ખાવાનું મેળવવું પડે છે. સામાન્ય સંજોગોમાં રૂ.3૦ની એક પ્લેટ મેગી મળતી હોય તેના યાત્રિકો પાસેથી રૂ.૧૭૦ વેપારીઓ વસુલી રહ્યા છે તે જ રીતે ભજીયાની એક પ્લેટ સામાન્ય રીતે રૂ.૬૦ થી ૭૦ની મળતી હોય તે પ્લેટના રૂ.૨૦૦ થઇ ગયા છે.
જે યાત્રિકો હરિદ્વારથી બદ્રીનાથ અથવા ચારધામની યાત્રાએ નીકળ્યા છે તેમના તમામ શેડયુલ ખોરવાઇ ગયા છે અને ઘરના સભ્યો ચિંતા કરે છે. લખલૂંટ ખર્ચ થવાના કારણે મર્યાદીત માત્રામાં ખિસ્સામાં પૈસા હોય તેવા લોકોની મજબૂરી વધી ગઇ છે. બીજી બાજુ મોબાઇલ સેવા પણ મર્યાદીત માત્રામાં ચાલુ રહે છે. ઇન્ટરનેટ રાત્રીના મળે છે ત્યારે પરિવારનો સંપર્ક થઇ શકે છે. તંત્ર તરફથી ખાસ કોઇ મદદ હજુ સુધી મળી નથી.
આજે જોશીમઠ નજીકથી મેઘા સોમપુરા નામના યાત્રિકે ‘અગ્ર ગુજરાત’ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આજથી તંત્ર દ્વારા પોલીસની મદદથી ફસાયેલા યાત્રિકોને મર્યાદીત માત્રામાં ભોજન આપવાનું શરૂ કર્યુ છે. જેમાં એક ચમચો દાળ અને પાંચ પૂરી આપવામાં આવી હતી. હજુ રસ્તો કયારે ખુલશે તે અંગે તંત્ર દ્વારા કોઇ ચોક્કસ જવાબ આપવામાં આવ્યો નથી.
ખાસ કરીને હરિદ્વારથી જે યાત્રિકો ચારધામની યાત્રા માટે વાહનો બાંધી નીકળ્યા છે અને જોશીમઠથી ઋષિકેશ વચ્ચે અટવાઇ ગયા છે તેમને માટે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. કારણ કે વાહન ધારકો રોજનું ભાડુ વસુલે છે જે રૂ.3૦૦૦ થી રૂ.૧૦૦૦૦ સુધી થાય છે. આમ યાત્રિકોની ચોમેરથી કસોટી થઇ રહી છે. ઉત્તરાખંડ સરકાર યાત્રિકો પાસેથી કરોડો રૂપિયાની આવક વેરા તરીકે અને વેપાર ધંધામાંથી મેળવે છે પરંતુ ગુજરાતી યાત્રિકોને લૂંટવા સિવાય અહીં સ્થાનિક વેપારીઓ કોઇ ધંધો કરતા નથી. તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની મદદ કે હેલિકોપ્ટર દ્વારા યાત્રિકોનું લિફટીંગ પણ કરવામાં આવતું નથી. ઉત્તરાખંડ સરકાર અને કેન્દ્ર સરકાર સામે ગુજરાતી યાત્રિકોમાં ભારો ભાર રોષની લાગણી ફેલાઇ છે.


