- સરકારી નિયમોનું અર્ધઘટન કરી સ્કૂલવર્ધી વાહનોને પરમિટ આપવાથી મુશ્કેલી થશે
- 20 કિમી ઝડપનું સ્પીડ ગર્વનર નથી, એટલે સ્પીડ લિમિટની એફિડેવિટ લેવામાં આવે છે
- અમદાવાદના 15 હજાર સહિત રાજ્યમાં 80 હજાર સ્કૂલવર્ધી ચાલકોને લાખો રૂપિયાનો ખર્ચ થશે
રાજ્યના સ્કૂલવર્ધીના વાહનોને વાહનવ્યવહાર વિભાગના નિયમોના પાલન માટે 45 દિવસથી લઇ ત્રણ મહિના સુધીનો સમય આપીને આખો મામલો શાંત પાડી દેવાયો હોવાનું મનાય છે. પરંતુ હાલમાં પણ નિયમોને લઇને વાહનવ્યવહાર કમિશનર કચેરી અને આરટીઓ ઇન્સ્પેકટર વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. સ્કૂલવર્ધી ચાલકોએ કહ્યું કે, 20 કિ.મી. ઝડપનું સ્પીડ ગર્વનર નથી એટલે સ્પીડ લિમિટની એફીડેવીટ લેવાય છે. રીક્ષાના જાળી-ઝાંપાનો કારમાં અમલ થઇ શકે તેમ નથી. આમ છતાં નિયમોમાં સુધારો કરાતો નથી. ઇન્સ્પેકટર એસોસીએશનને અગ્રણીઓેએ સરકારી નિયમોનું અર્ધઘટન કરીને સ્કૂલવર્ધી વાહનોને પરમીટ આપવાથી મુશ્કેલી થવા સહિતના મુદ્દા સાથે સચિવથી લઇ સરકારમાં લેખિત રજૂઆત કરી છે.
સ્કૂલવર્ધી એસોસીએશનના કેટલાક સભ્યોએ કહ્યું કે, 20 કિ.મી.ઝડપનું સ્પીડ ગર્વનર બજારમાં મળતું નથી. ઉપરાંત 20 કિ.મી. ઝડપે વાહન ચલાવવું ટ્રાફિકની દ્રષ્ટિએ મુશ્કેલ છે. આમ છતાં નિયમમાં જોગવાઇ દાખલ કરીને હવે ફિડેવિટનો બિનજરુરી ખર્ચ કરાવાય છે. અમદાવાદના 15 હજાર સહિત રાજ્યમાં 80 હજાર સ્કૂલવર્ધી ચાલકોને લાખો રૂપિયાનો ખર્ચ થશે. તેના કરતાં નિયમમાં સુધારો કરી દેવાય તો ચાલકોને આર્થિક ફાયદો થાય અને આરટીઓનો સ્ટાફ મુંઝવણમાં મુકાય નહીં. ઇન્સ્પેકટર એસોસીએશનના કેટલાક સદસ્યોએ કહ્યું કે, ગુજરાત નોટર વાહન નિયમોના નિમય 119 મુજબ ફકત રીક્ષા માટે જ બલ્બ હોર્ન, 20 કિ.મી.ની ઝડપ, વધુ બાંકડા બેસાડવા, જાળી લગાવવાની જોગવાઇ રીક્ષા માટે છે. જેનું ખોટુ અર્થઘટન કરી સ્કૂલવર્ધીમાં નોંધાયેલા વાન અને ઇકોને પણ લાગુ કરી દેવાયું છે. વાન અને ઇકોમાં જો સીએનજીની બોટલ પર બાંકડા ફિટ ના કરવાના હોય તો વધુ બાળકો બેસાડવા માટેનો મેપ, ચાર્ટ કે ડાયગ્રામ કમિશનર કચેરી દ્વારા અપાયો નથી.
રાજ્યની કેટલીક આરટીઓ અધિકારીઓએ સ્કૂલવર્ધી ચાલકો માટેના નિયમોમાં ટેકનીકલ મુદ્દાઓ અંગે વાહનવ્યવહાર કમિશનર કચેરી સમક્ષ લેખિત સૂચન માંગ્યા છે. કમિશનર કચેરી તરફથી તેની સ્પષ્ટતા કરવામાં આવે તો અન્ય આરટીઓમાં પણ મુંઝવણ દૂર થઇ શકે. અત્યારે વિવિધ આરટીઓ પોતાની રીતે નિયમોનું અર્ધઘટન કરીને મંજૂરી આપે છે.


