ફી નિયમન સમિતિમાં અમદાવાદના ભરત પટેલ જ ભ્રષ્ટ હોવાના હતા આક્ષેપ
ખાનગી શાળા સંચાલકોની રજુઆતો બાદ અંતે સરકારે પગલા લીધા
ગુજરાત સરકારમાં જુદી-જુદી સમિતિઓ, નિગમો અને સરકારી ખાતાઓમાં વાડ જ ચીભડાં ગળે છે તેવી વ્યાપક ફરિયાદો છે. છેલ્લા થોડા સમયથી ફી નિયમન સમિતિમાં સભ્ય ભરત પટેલ ભ્રષ્ટ હોવાના વ્યાપક આક્ષેપો ખાનગી શાળા સંચાલક મંડળના સભ્યો દ્વારા થયા હતાં. જેની તપાસમાં સરકારને વજુદ જણાતા ભરત પટેલની તાત્કાલીક હકાલપટ્ટી કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર ગેરરીતિ અને ખોટા કામોની શ્રેણીબદ્ધ ફરિયાદોના કારણે ફી રેગ્યુલેટરી કમિટી, અમદાવાદ ઝોનના સભ્યપદેથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત પટેલની હકાલપટ્ટી કરવામાં આવી છે. તેમની સામે અસંખ્ય ફરિયાદો હતી.
રાજ્યના શિક્ષણ વિભાગના આદેશમાં જણાવાયું છે કે ગુજરાત સ્વનિર્ભર શાળાઓ ( ફી નિયમન) અધિનિયમ ૨૦૧૭ તથા તે હેઠળ બનાવવામાં આવેલા ગુજરાત સ્વનિર્ભર શાળાઓ (ફી નિયમન) નિયમો અનુસાર રાજ્ય સરકારે શિક્ષણ વિભાગની અધિસૂચના પ્રમાણે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર ઝોનમાં ફી નિયમન સમિતિની રચના કરવામાં આવી છે.
આ ઠરાવથી ફી નિયમન સમિતિ, અમદાવાદ ઝોન માટે ભરત એન પટેલની સભ્ય અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ત્રણ વર્ષ સુધી નિમણૂક કરવામાં આવી હતી. પુખ્ત વિચારણાને અંતે ભરત એન. પટેલની ફી નિયમન સમિતિના સભ્યપદેથી તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની નિમણૂક સમાપ્ત કરવામાં આવે છે. રાજ્ય સરકારે છેલ્લા એક
મહિનામાં ૧૧ જેટલા ભ્રષ્ટ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે અને ચાર અધિકારીઓની સેવાઓ વહેલી સમાપ્ત કરી છે. હવે પાંચમા અધિકારી તરીકે ભરત પટેલનો નંબર લાગ્યો છે. તેમને તાત્કાલીક ધોરણે હટાવી દેવામાં આવ્યા છે.
સચિવાલયના સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ચાર્ટર્ડ એકાઉન્ટ ભરત પટેલ સામે ભ્રષ્ટાચારના અસંખ્ય આક્ષેપો થયેલા છે. ખાનગી શાળા સંચાલકો અને ટ્રસ્ટીઓ પાસેથી મોટી રકમની લાંચ માગવાનો આક્ષેપ પણ થયો છે. શાળા સંચાલકો અને ટ્રસ્ટીઓને એવું કહેવામાં આવતું હતું કે મારે છેક ઉપર સુધી રકમ પહોંચાડવી પડે છે. કેટલીક શાળાના સંચાલકોને ત્રણ વર્ષ માટે ફી વધારાની મંજૂરી સામે અમુક રકમ આપવી પડશે તેવુ પણ કહેવામાં આવ્યું હોવાની ચર્ચા છે.
એક કિસ્સામાં ઉપર સુધી વાત જતાં પાંચ લાખ રૂપિયા પાછા આપવા પડયા હોવાનું વિભાગમાં ચર્ચાઇ રહ્યું છે. એક શાળા સંચાલક પાસેથી મોટી રકમ માગવામાં આવતા સમગ્ર મામલો સચિવાલય સુધી પહોંચ્યો હતો જેની ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી હતી અને તેમાં તથ્ય જણાતા ગંભીર આરોપના કારણે તેમની સામે હકાલપટ્ટીનું પગલું લેવામાં આવ્યું છે.


