- સરકારી શાળાના શિક્ષકોની મિલકત જાહેર કરવા અંગે પ્રથમવાર સત્તાવાર નિર્ણય
- પોતાના તેમજ પરિવારના સભ્યોના નામે હોય તેવી મિલકત પણ જાહેર કરવા સુચના
- તમામ શિક્ષકો અને આચાર્યોએ દર વર્ષે તેમની મિલકતો અંગેની વિગતો જાહેર કરવી પડશે
રાજ્યની તમામ સરકારી શાળામાં ફરજ બજાવતાં શિક્ષકોની મિલત જાહેર થાય એ માટે સરકાર દ્વારા સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય મુજબ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતાં અંદાજે અઢી લાખ જેટલા શિક્ષકોએ તેમની સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવી પડશે.
રાજ્ય સરકારના GAD વિભાગ દ્વારા લેવાયેલ આ નિર્ણયના અનુસંધાને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લાના ડીપીઈઓ અને જિલ્લા શિક્ષણ સમિતિને પરિપત્ર મોકલવામાં આવ્યો છે. પોતાના તેમજ પરિવારના સભ્યોના નામે હોય તેવી મિલકત પણ જાહેર કરવા સુચના આપવામાં આવી છે.
નિયામક કચેરી દ્વારા કરાયેલ પરિપત્રમાં જણાવ્યુ છે કે, રાજ્ય સ્તરે પંચાયત સેવા વર્તણુક નિયમોમા કરવામાં આવેલ જોગવાઈ મુજબ પંચાયતના દરેક કર્મચારી, પ્રાથમિક શિક્ષક દ્વારા જંગમ અને સ્થાવર મિલકત જાહેર કરવામાં આવે. પંચાયતના દરેક કર્મચારીએ કોઈપણ સેવા અથવા જગા પર પોતાની પ્રથમ નિમણુક વખતે વારસામાં મેળવેલ માલિકીની તેના પોતાના નામે અથવા તેના કુટુંબના કોઈપણ સભ્યના નામે અથવા બીજી કોઈપણ વ્યક્તિના નામે મિલકત હોય તો તેની પણ વિગતો જાહેર કરવી પડશે. તમામ શિક્ષકો અને આચાર્યોએ દર વર્ષે તેમની મિલકતો અંગેની વિગતો જાહેર કરવી પડશે.
આ પ્રકારનો નિર્ણય લેવા અંગે પૂછતા શિક્ષણના અધિકારીઓએ જણાવ્યું હતુ કે, સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, પંચાયત સેવા વર્ગ-3માં આવતા તમામ કર્મચારીઓની દર વર્ષે સ્થાવર અને જંગમ મિલકત જાહેર થવી જોઈએ. જેના માટે સરકાર દ્વારા એક સોફ્ટવેર બનાવવામાં આવશે, જેમાં આ વિગતો દર વર્ષે અપલોડ કરવાની રહેશે. મહત્વની વાત એ છે કે, અત્યાર સુધીમાં શિક્ષકોની આવી કોઈ મિલકતની વિગતો સરકાર દ્વારા જાહેર પ્લેટફોર્મ પર મુકવાની પ્રક્રિયા હાથ ધરાઈ નથી. પ્રથમવાર શિક્ષકોની મિલકતની વિગતો લોકો જાણી શકશે. હાલમાં પ્રાથમિક શિક્ષકો માટેનો પરિપત્ર પ્રસિદ્ધ થયો છે પરંતુ રાજ્યની સરકારી હાઈસ્કૂલો માટે પણ આ નિયમ લાગુ પડી શકે તેવી સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.


