સસ્તા શાકભાજી ઉપર છુટક વેપારીઓ ૪૦૦ ટકા નફો ચડાવે છે
૧.૭૦ કરોડ ટન શાકભાજી રાજયમાં ઉગતું હોવા છતાં ભાવો આસમાને
હોલસેલ માર્કેટમાં સસ્તા ભાવે મળતાં શાકભાજીને સ્થાનિક વેપારીઓ ૪૦૦ ટકા નફો ચડાવીને વેચતા હોવાથી ચોમાસાના કારણે માલની અછત બતાવી ભયંકર લૂંટ ચલાવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. છુટક ફેરીયાઓ લારીવાળાઓ અને ઓટાવાળા શાકભાજી વિક્રેતાઓ પાસે પૂરતી માત્રામાં શાકભાજી આવતું હોવા છતાં અછત બતાવી નફાખોરી થાય છે. મળતા અહેવાલો મુજબ રાજયમાં ૧.૭૦ કરોડ મેટ્રીક ટન જેટલું શાકભાજી તૈયાર થાય છે.
મળતી વિગતો મુજબ ઉનાળા અને ચોમાસાની સીઝનમાં શાકભાજીની આવક ઓછી હોવાનું કારણ આપી વેપારીઓ તગડો નફો કમાઇ રહ્યાં છે. આજે ગુજરાતમાં છૂટક બજારમાં મોટાભાગની શાકભાજીનો પ્રતિકિલોનો ભાવ ૧૨૦ થી ૧૬૦ રૂપિયા છે, જે સામાન્ય રીતે ૪૦ થી ૬૦ રૂપિયા જોવા મળે છે.
રાજયના કૃષિ વિભાગના ટોચના અધિકારીએ કહ્યું હતું કે ખેડૂતો મહેનત કરીને તૈયાર કરેલા શાકભાજી એપીએમસી સુધી પહોંચાડે છે પરંતુ તેમને પોષણક્ષમ ભાવ મળતા હોતા નથી. તેમના જણાવ્યા પ્રમાણે મંડીબજારમાં શાકભાજી ઠલવાઇ ગયા પછી જયારે છુટક વેપારીઓ પાસે આવે છે ત્યારે તેમાં અલગ-અલગ સ્ટેજના ભાવ ઉમેરાય છે. પરિણામે ગ્રાહકોને સસ્તું શાકભાજી મળતું નથી.
વાવેતર અને ઉત્પાદનના આંકડા આપતાં તેમણે કહ્યું હતું કે રાજયમાં શાકભાજીનો વાવેતર વિસ્તાર ૨૦૨૨-૨3ના આંકડા પ્રમાણે ૮,3૨,૬3૯ હેકટર છે અને ઉત્પાદન ૧,૬૭,૧૮,૯૦૪ મેટ્રિક ટન છે. પ્રોડકિટવિટી પણ હેકટરે ૨૦.૦૮ મેટ્રીક ટન આવે છે. અગાઉના વર્ષના આંકડા જોઇએ તો ૮,33,૦૦૦ હેકટરમાં વાવેતર હતું અને ઉત્પાદન ૧,૬૭, 33,૦૦૦ મેટ્રીક ટન જોવા મળ્યું છે તેમ છતાં શાકભાજીના ભાવ સ્થિર રહ્યા હતાં. માત્ર શાકભાજી જ નહીં, ફળપાકોમાં પણ ઉત્પાદન વધારે હોવા છતાં તે મોંઘા થઇ ગયા છે. રાજયમાં ૨૦૨૧-૨૨માં ફળ પાકોનો વાવેતર વિસ્તાર ૪, 3૯,૦૦૦ હેકટર હતો અને ઉત્પાદન ૮૨,૬૮,૦૦૦ મેટ્રીક ટન થયું હતું. જયારે ૨૦૨૨-૨3ના વર્ષમાં વાવેતર વિસ્તાર ૪,૪૮,૭૪૧ હેકટર હતો અને ઉત્પાદન ૮૨,૯૧,૭૨૬ મેટ્રીક ટન થયું છે. ફળપાકોમાં પણ વેપારીઓ ખેડૂતોને છેતરીને તગડો નફો કમાઇ રહ્યાં છે છતાં રાજય સરકાર તરફથી મધ્યસ્થી કરીને ભાવમાં ઘટાડો કરવાના પગલાં લેવામાં આવતા નથી. વેપારીઓને પૂછતાં તેઓ હવામાન અને સિઝનનું બહાનું કાઢી જણાવે છે કે માર્કેટમાં શાકભાજી અને ફળોની અછત હોવાથી ભાવમાં વધારો થઇ રહ્યો છે, જયારે કિસાન નેતાને પૂછીએ તો તેઓ કહે છે કે અમે શાકભાજી અને ફળો મંડીમાં સમયસર પહોંચાડીએ છીએ છતાં અમને પોષણક્ષમ ભાવ મળતા નથી.


