- ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક 7 વર્ષની બાળકીનું મોત
- રાજ્યમાં 15થી વધુ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ સામે આવ્યા
- મહેસાણાના 1 વર્ષના બાળકનું હોસ્પિટલમાં વાયરસના કારણે મોત
ચાંદીપુરા વાયરસે રાજ્યમાં આતંક મચાવ્યો છે. જેના કારણે અત્યાર સુધી ઘણા નાના બાળકો મોતને ભેટ્યા છે. ત્યારે શંકાસ્પદ ચાંદીપુરા કેસને કારણે ગાંધીનગરમાં વધુ એક બાળકીનું મોત થયુ છે. દહેગામના અમરાજીના મુવાડાની બાળકીનું મોત થયુ છે. 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન જ મોત થયુ છે.
રાજ્યમાં 15થી વધુ શંકાસ્પદ કેસ
ત્યારે હાલમાં રાજ્યમાં 15થી વધુ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ સામે આવ્યા છે. જેમાં અત્યાર સુધી લગભગ 10 જેટલા બાળકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે આ વાયરસ સૌથી વધુ 9 મહિનાથી લઈને 14 વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળે છે. અગાઉ ગાંધીનગર મનપા વિસ્તારમાં એક 14 મહિનાની બાળકીનું મોત થયું છે. ત્યારે તેનું સેમ્પલ લઈને વધુ તપાસ માટે પુના મોકલવામાં આવ્યુ છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમે પણ તાત્કાલિક સરવેની કામગીરી પણ શરૂ કરી દીધી છે અને મૃતકના ઘરની આસપાસ દવાનો છંટકાવ કર્યો છે.
અમદાવાદમાં પણ એક બાળકનું મોત
આ પહેલા આજે બપોરે પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ ચાંદીપુરા વાયરસથી 1 બાળકનું મોત થયું છે. મહેસાણાના 1 વર્ષના બાળકનું હોસ્પિટલમાં વાયરસના કારણે મોત થયું છે અને હાલમાં પણ 5 બાળકો અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સિવાય પણ અમદાવાદમાં ચાંદીપુરા વાયરસના બે કેસ મળી આવ્યા છે. ચાંદલોડિયાના એક બાળક અને આંબાવાડીના એક બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
14 વર્ષ પહેલા પણ રાજ્યમાં ચાંદીપુરા વાયરસે 17 લોકોના જીવ લીધા હતા
14 વર્ષ પહેલા પણ રાજ્યમાં ચાંદીપુરા વાયરસે 17 લોકોના જીવ લીધા હતા. ગામડામાં લીંપણની તિરાડમાં આ માખી રહેતી હોય છે, તેથી ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને જ્યાં આ માખીનો ઉપદ્રવ છે તેવા જિલ્લાઓમાં રહેતા લોકોએ તેમના ઘરના લીંપણને ઉખાડીને બદલી દેવું જોઈએ અથવા તો આ માખીનો નાશ કરવો જોઈએ. તેના દ્વારા વધુ પ્રમાણમાં આ વાયરસ ફેલાય છે અને બાળકો ઝડપી આ વાયરસની ઝપેટમાં આવે છે.


