- ધોરાજી – દાહોદ રૂટની ST બસને અકસ્માત નડયો
- રાત્રિના હાઈવે મુસાફરોની ચિચિયારીઓથી ગુંજી ઊઠયો
- અકસ્માતમાં ઈજાગ્રસ્ત ચાલક, કંડકટર સહિત 7ને રાજકોટ, સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા
અકસ્માત ઝોન બની ચૂકેલા સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર જતી એસટી બસના ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પાછળ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
મંગળવારે રાત્રિના સમયે થયેલા ઓચિંતા અકસ્માતથી બસમાં સવાર મુસાફ્રોની કીકીયારીઓથી હાઇવે ગુંજી ઉઠયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બસના આગળના ભાગનો ખુરદો નીકળી જવા સાથે ડ્રાયવર, કંડકટર સહિતના 10થી વધુ લોકોને ઇજાઓ થવાથી 108માં સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
ચોટીલાથી સાયલા તરફ્ આવી રહેલ ધોરાજી-દાહોદ રૂટની એસ.ટી.બસ ડોળીયા બાઉન્ડ્રી પસાર કરી જઇ રહેલ હતી ત્યારે બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી ટ્રકના પાછળના ભાગે ભટકાડતા થયેલા ગોઝારા અકસ્માતમાં દસથી વધુ ઇજાગ્રસ્તોને સાયલા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સાત જેટલા લોકોને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર તથા રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ સાયલા પોલીસ ત્યાં દોડી ગઇ હતી અને રોડ પર પડેલ બન્ને વાહનોને સાઇડમાં રાખવાની કામગીરી સમયે રોડ પરનો વાહનવ્યવહાર પ્રભાવિત થવા પામ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર હાલ સુધી અકસ્માતનું સાચું કારણ બહાર આવ્યું નથી. ત્યારે બસના ચાલક, કંડકટર તેમજ ટ્રક ચાલકના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી.


