- સૌરાષ્ટ્રની શાન ગણાતો જમજીરનો ધોધ ગર્જયો
- જમજીરના ધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું
- ભારે વરસાદ બાદ ગીર સોળે કળાએ ખીલી ઉઠયું
ગીરમાં આવેલો અને સૌરાષ્ટ્રની શાન ગણાતો જમજીરનો ધોધ ગર્જયો છે.હાલમાં આ જમજીરનો ધોધ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.ગુજરાતમાં વરસાદી મહેર જામી છે અને આ વરસાદી મહેરમાં કુદરતી સૌંદર્ય પણ ખિલી ઊઠ્યું છે. જે હાલમાં પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. ખાસ કરીને ચોમાસામાં ખિલી ઉઠતા ધોધ પર્યટકો માટે આકર્ષક સાબિત થઈ રહ્યા છે.
લોકો ધોધ જોવા ઉમટયા
ગીરમાં આવેલ જમજીરનો ધોધ ખુબ પ્રખ્યાત છે. જે સારા વરસાદના કારણે ખિલી ઉઠયો છે.જેથી અહીં મોટી સંખ્યામાં પર્યટકો પણ કુદરતી નજારાને માણવા માટે પહોંચી રહ્યા છે. ખળખળ કરતો વહી રહેલો ધોધ લોકોને પોતાની તરફ આકર્ષિ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો અહીં પરિવાર સાથે ધોધનો નજારો નિહાળવા આવે છે.કુદરતી નજારાને પોતાના કેમેરામાં કંડારવા આવી રહ્યા છે.
સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા જવાનોને તૈનાત કરાયા
જમજીર ધોધ ગીરના જંગલમાંથી નિકળતી શિંગોડા નદી પર આવેલો છે. જંગલમાં ખુબ સારા વરસાદના કારણે છેલ્લા 15 દિવસથી આ ધોધ અવિરત પડી રહ્યો છે. જોકે વરસાદી માહોલ શરૂ થતાની સાથે જ અહીં પર્યટકોની સંખ્યા પણ વધવા લાગી છે. ત્યારે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અહીં જવાનોને પણ તૈનાત કરાયા છે.
25 પંચાયત હસ્તકના રસ્તા બંધ કરવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે ભારે વરસાદથી 6 સ્ટેટ હાઇવે, 25 પંચાયત હસ્તકના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તથા 10 અન્ય રસ્તાઓ બંધ સ્થિતિમાં છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેના પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને પોરબંદરમાં વરસાદનું રૌદ્ર રુપ જોવા મળ્યું હતું અને વરસાદથી શહેરને પાણી-પાણી કરી નાખ્યું હતું. સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે શહેરીજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદને પગલે જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા
કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ,વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ પડ્યો હતો. ગુજરાતમાં કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર ઉપરાંત પણ જુનાગઢ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. પોરબંદરમાં તો આકાશી આફતથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને પગલે જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. તો બીજી તરફ ભારે વરસાદના સમયે જ અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.


