- નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં મોટો ભૂવો પડ્યો
- 20 ફૂટ પહોળો, 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો
- નગરપાલિકાના એન્જિનિયર ઘટના સ્થળે પહોંચ્યા
ખેડા જિલ્લાના નડિયાદમાં ભારે વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે. રસ્તા પર 20 ફૂટ પહોળો અને 10 ફૂટ ઉંડો ભૂવો પડ્યો છે અને ભૂવો પડ્તા તાત્કાલિક રોડ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહનચાલકોને મોટી મુશ્કેલી થઈ રહી છે.
ગરપાલિકાના એન્જિનિયર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો
શહેરના સાંઈબાબા મંદિરથી નીલકંઠ મહાદેવ મંદિરના જોડતા રોડ પર આ મસમોટો ભૂવો પડ્યો છે. આ મસમોટો ભૂવો પડ્યાની જાણકારી મળ્યા બાદ જ નગરપાલિકાના એન્જિનિયર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો, સાથે જ વોર્ડ નંબર 11ના કાઉન્સિલર સંજય પટેલ પણ ઘટનાસ્થળે પહોંચીને ભૂવો પૂરાવવાની કામગીરી શરૂ કરાવી.
નડિયાદમાં ગરનાળું પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી
નડિયાદમાં ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે, શહેરના ખોડિયાર મંદિર પાસે આવેલુ ગરનાળુ પાણીમાં ગરકાવ થયું છે. લાંબા સમયના વિરામ બાદ નડિયાદ શહેરમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે, અંદાજે સાડા પાંચ ઈંચથી વધુ વરસાદ વરસતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
રાજ્યમાં ભારે વરસાદના કારણે 120થી વધુ રસ્તાઓ બંધ
રાજ્યમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. જેના કારણે રાજ્યના 127 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. તેમજ 9 સ્ટેટ હાઈવે અને 113 પંચાયતના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. 5 અન્ય રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. તેમજ પોરબંદર જિલ્લામાં 60 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા તથા જૂનાગઢ જિલ્લામાં 19 રસ્તાઓ બંધ કર્યા છે.
ગુજરાતના 45 જળાશયો પાણીથી છલકાયા
વરસાદને કારણે ગુજરાતના 45 જળાશયોમાં પાણીની મોટી આવક થઈ છે. સરદાર સરોવર ડેમમાં 53 ટકાથી વધુનો જળસંગ્રહ થયો છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 53.29 ટકા જળસંગ્રહ થયો છે. આ સિવાય અન્ય 7 જળાશય પણ 90થી 100 ટકા ભરાતા હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. રાજ્યના 206 જળાશયોમાં 47.19 ટકાનો જળસંગ્રહ થયો છે. રાજ્યના 30 ડેમ 70થી 100 ટકા અને અન્ય 36 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.


