- જરૂરિયાતમંદ લોકોને પહેલા વ્યાજે રૂપિયા આપી ત્યારબાદ પઠાણી ઉઘરાણી કરતા
- વ્યાજ નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા
- માતા પુત્ર ફરિયાદીના ઘરે બેસી જઈ તેમને ખાવાનું રાંધવા પણ દેતા નહોતા
સુરત શહેરના પાંડેસરાના નાગસેન નગરમાં માતા-પુત્રની જોડીએ વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી કરી આતંક મચાવ્યો હતો. પાંડેસરા પોલીસે માતા અને પુત્ર વિરુદ્ધ ત્રણ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માતા-પુત્ર લોકોને વ્યાજ પર પૈસા આપી વ્યાજ કરતાં વધુ કિંમત ચૂકવી દેવા છતાં પઠાણી ઉઘરાણી કરતા હતા, બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પઠાણી ઉઘરાણી કરનાર માતા-પુત્રની પાંડેસરા પોલીસે ધરપકડ કરી
જરૂરિયાતમંદ લોકોને પહેલા વ્યાજે રૂપિયા આપી ત્યાર પછી પઠાણી ઉઘરાણી કરનાર માતા-પુત્રની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. સુરતના નાગસેન નગરમાં માતા પુત્રની જોડીએ વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી કરી આતંક મચાવ્યો હતો અને ઘરના દસ્તાવેજો પણ તેઓ લઈ લેતા હતા. ત્યારબાદ ગેરકાયદેસર રીતે કબજો કરી ફરિયાદીના ઘરને બીજા કોઈને ભાડેથી આપી દેતા હતા.
પાંડેસરા વિસ્તારમાં ત્રણ ફરિયાદી આવ્યા સામે
લોકોને ઘરમાંથી બહાર કાઢી નાખવાની ધમકી આપવા સાથે વ્યાજ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી, પાંડેસરા વિસ્તારમાં ત્રણ ફરિયાદી સામે આવ્યા. માતા આશા સોનવણે અને પુત્ર જીગ્નેશ સોનવણે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે તેમની પાસેથી વ્યાજ પર પૈસા લીધા હતા. વ્યાજ સહિત પૈસાની ચુકવણી કરી દીધી હોવા છતાં માતા-પુત્ર લોકોને હેરાન કરતા. પ્રથમ ફરિયાદીએ જણાવ્યું હતું કે મેં 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, તેની સામે રૂપિયા 1.75 લાખ ચૂકવી દીધા છે. તેમ છતાં વ્યાજની માંગણી કરવામાં આવી રહી છે. આ લોકો ફરિયાદીના ઘરે બેસી જતા હતા અને અપશબ્દો બોલતા હતા.
1.75 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, તેની સામે 2.27 લાખના કાગળ ઉપર સહી કરાવી લીધી
આ બંને આરોપી ફરિયાદીના ઘરે બેસી જતાં અને તેમને જમવાનું પણ બનાવા દેતા નહોતા. સાથે તેઓએ જણાવ્યું હતું કે અન્ય બીજા ફરિયાદીએ જણાવ્યું છે કે પત્નીના સારવાર માટે 1.75 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેની સામે 2.27 લાખના કાગળ ઉપર સહી કરાવી લીધી હતી અને સહી કરાવ્યા પછી મકાન ખરીદી લીધું. કાગળ પર લખ્યું હતું કે અમે આ મકાન ખરીદી રહ્યા છીએ. ત્યાર પછી પણ વ્યાજ લેતા હતા.
આરોપીએ ફરિયાદીનું મકાન પોતાના જમાઈના નામે રજીસ્ટર કરાવી લીધુ
વ્યાજની ચુકવણી છતાં પણ પૈસાની માંગણી કરતા હતા. ફરિયાદીના ઘરની ફાઈલ હજુ પણ આરોપી પાસે છે. આ માતા-પુત્ર ફરિયાદીના ઘરે બેસી જતા અને તેમના માટે ભોજન બનાવવા પણ ન દેતા. બંને માતા-પુત્રએ મકાનનો કબજો લઈ લીધો છે અને ભાડુઆતને મકાનમાં રાખ્યો છે. સાથે તેઓએ જણાવ્યું હતું કે, ત્રીજા ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે આરોપી પાસેથી તેણે રૂપિયા 50 હજાર વ્યાજે લીધા હતા અને તેની સામે રૂપિયા 54000 ચૂકવ્યા હતા, બાદમાં તે દર મહિને વ્યાજ ચૂકવતો હોવા છતાં આશા સોનવણેએ ફરિયાદીનું મકાન પોતાના જમાઈના નામે રજીસ્ટર કરાવી તેના ઘરનો કબજો મેળવ્યો હતો.


