- રાજપરના ખોટા સાક્ષી તરીકે અને પીપરાળીના સરપંચ પર મનરેગાની ગેરરીતિ બદલ કાર્યવાહી
- ખનીજ ચોરીને છાવરતા હોય કે કોઇ ગેરરીતિમાં સંડોવાયેલાની બેદરકારી નહીં બક્ષવામાં આવે :વિકાસ અધિકારી
- જિલ્લાના બે સરપંચો સામે ગેરરીતીમાં સંડોવાયેલાનું ખુલ્યા બાદ પોલીસ ફરીયાદ થઇ હતી
સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક ગામડાઓમાં મનરેગાના કામોમાં ગેરરીતિ થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી હતી.
ત્યારે ચોટીલાના પીપરાળી ગામના સરપંચને મનરેગાના કામમાં ગેરરીતિ બદલ અને પાટડી તાલુકાના રાજપર ગામના સરપંચ સામે જમીન વેચાણ દસ્તાવેજમાં સાક્ષી તરીકે ખોટી સહી કરવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે બાબતની ઉંડાણપુર્વક તપાસ કર્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બંનેને સરપંચ પદેથી સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી ગયેલ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગામડાઓમાં અનેક જગ્યાએ મનરેગા સહિતની સરકારી ગ્રાન્ટમાંથી થતા કરોડો રૂપીયાની ગ્રાન્ટમાં વિવિધ પ્રકારની ગેરરીતી આચરાતી હોવાની વ્યાપક ફરીયાદ ઉઠતી હોય છે.અગાઉ મનરેગામાં ખોટી શહીઓ કરી બીજાના ખાતામાં રૂપીયા જમા કરી અને સ્થળ ઉપર કામ કર્યા વગર જ ગ્રાન્ટ વાપર્યા સહિતની અનેક બાબતની ગેરરીતી સામે આવી હતી.પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક વખત ચૂંટાયેલાપ્રતિનીધીઓ ગેરરીતીમાં સંડોવાયેલા હોવાનું ખુલુયા બાદ કાર્યવાહી કરાય એ પહેલા જ મોટા રાજકીય નેતાઓ અધિકારીઓને દબાણ લાવી કાર્યવાહી કરતા અટકાવતા હોય છે.પરંતુ હાલ જિલ્લાના બે સરપંચો સામે ગેરરીતીમાં સંડોવાયેલાનું ખુલ્યા બાદ પોલીસ ફરીયાદ થઇ હતી જેની સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાએ તટસ્થ તપાસ કરાવ્યા બાદ કોઇની પણ શેહ શરમ રાખ્યા વગર બંન્ને સરપંચોને તાત્કાલીક સસ્પેન્ડ કરી દીધા છે.જેમાં પાટડી તાલુકાના રાજપર ગામના સરપંચ કાંતીભાઇ ગંગારામભાઇ બલદાણીયા સામે હમણા જ બજાણા પોલીસ સ્ટેશનમાં ગામના વ્યકિતની જમીન વેચાણમાં સાક્ષી તરીકે ખોટી શહી કરી હોવાની બાબતે પોલીસ ફરીયાદ નોંધાઇ હતી.બીજી તરફ ચોટીલા તાલુકાના પીપરાળી ગામના સરપંચ વિનોદભાઇ મનજીભાઇ સાકરીયા સામે ગામના મનરેગાના કામોમાં ગેરરીતિ થઇ હોવાની પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. આમ ડીડીઓએ બંને સરપંચને સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ સાથે સરપંચોમાં ફફળાટ વ્યાપી ગયેલ છે.


