- શેખ હસીના સામે હત્યાના બે નવા કેસ નોંધાયા છે
- સરકારના ભૂતપૂર્વ પ્રધાનો વિરુદ્ધ હત્યાના બે નવા કેસ નોંધવામાં આવ્યા છે
- શેખ હસીના વિરૂદ્ધ પહેલા પણ ઘણા કેસ નોંધાયેલા છે
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તેની સામે હત્યાના બે નવા કેસ નોંધાયા છે. બાંગ્લાદેશમાં તાજેતરના આંદોલન દરમિયાન બે લોકોના મોતના સંબંધમાં શેખ હસીના અને તેમની સરકારના ભૂતપૂર્વ પ્રધાનો વિરુદ્ધ આ કેસ નોંધવામાં આવ્યા છે. શેખ હસીના વિરૂદ્ધ પહેલા પણ ઘણા કેસ નોંધાયેલા છે.
બાંગ્લાદેશની રાજધાની ઢાકાના મીરપુર વિસ્તારમાં લિટન હસન લાલુ ઉર્ફે હસન અને શેર-એ-બાંગ્લા નગર વિસ્તારમાં તારિક હુસૈનની હત્યાના કેસમાં અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે. આ ઘટનાઓને કારણે હસીનાને સત્તા પરથી હટાવવાની ફરજ પડી હતી. લિટનના ભાઈએ ઢાકા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ મહેંદી હસનની કોર્ટમાં શેખ હસીના, ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અસદુઝમાન ખાન કમાલ, ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) અબ્દુલ્લા અલ મામુન અને અન્ય 148 વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
શાંતિપૂર્ણ સરઘસમાં ગોળીબાર
લિટન 4 ઓગસ્ટે મીરપુર વિસ્તારમાં વિદ્યાર્થી આંદોલનમાં જોડાયો હતો. આ આંદોલન શાંતિપૂર્ણ હતું, પરંતુ બપોરે 2 વાગ્યે હસીનાની અવામી લીગ પાર્ટીના લોકોએ સરઘસ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ફાયરિંગમાં હસન ઘાયલ થયો હતો અને બાદમાં તેનું મોત થયું હતું. આ ઘટના અંગે શેખ હસીના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
માછલી વેપારીના મોતનો મામલો
શેખ હસીના સામે માછલીના વેપારીના મોતનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. આ કેસ રવિવારે મોડી રાત્રે નોંધવામાં આવ્યો હતો. આ કેસ મોહમ્મદ મિલનની પત્ની શહનાઝ બેગમે નોંધાવ્યો હતો, જેમની 21 જુલાઈએ માછલી બજારથી ઘરે પરત ફરતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં શેખ હસીના, પૂર્વ રોડ ટ્રાન્સપોર્ટ અને બ્રિજ મંત્રી ઓબેદુલ કાદેર, પૂર્વ ધારાસભ્ય શમીમ ઉસ્માન અને પૂર્વ ગૃહ મંત્રી અસદુઝમાન ખાન સહિત 62 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.


