- કેનેડામાં ટ્રૂડો સરકારના નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓ રોષે
- ભારતીયોની રોજગારી પર સંકટ વર્તાતા કર્યો વિરોધ
- કેનેડામાં રહેતા ભારતીયોની ચિંતા વધી
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ એક પોસ્ટ કરી હતી. જેના વિરોધમાં ભારતીય વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. મહત્વનું છે કે ટ્રૂડોએ ગઇકાલે ટ્વિટ કર્યું હતું કે સરકાર ઓછા વેતન ધરાવતા વિદેશી કર્મચારીઓની સંખ્યા ઓછી કરી રહી છે. કનેડાના ઉદ્યોગ સ્થાનિક શ્રમિકો અને યુવાઓમાં રોકાણ કરે. આ એક પોસ્ટને લઇને કેનેડામાં રહેતા ભારતીયોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે રોજગારીનું સંકટ ઘેરુ બન્યું છે.
ઇમિગ્રેશન નીતિમાં ફેરફાર
બીજી તરફ કેનેડાએ તેની ઈમિગ્રેશન નીતિમાં ફેરફારની જાહેરાત કરી છે. નવી નીતિમાં કાયમી નિવાસી નોમિનેશનમાં 25 ટકાનો ઘટાડો અને અભ્યાસ પરમિટ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેનેડામાં ઝડપથી વધી રહેલી વસ્તીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેનેડા સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર ગયા વર્ષની વસ્તી વૃદ્ધિના લગભગ 97% ઇમિગ્રન્ટ્સને કારણે હતી.
વિદ્યાર્થીઓએ નોંધાવ્યો વિરોધ
કેનેડા સરકારના આ નિર્ણયો સામે હજારો ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાના રસ્તા પર ઉતરી આવ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાના ઘણા શહેરોમાં ટ્રુડો સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ નિર્ણયોને કારણે એક તરફ વિદ્યાર્થીઓને નોકરી ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે તો બીજી તરફ તેઓને ભારતમાં મોકલી દેવાનો ડર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રુડો સરકારના આ નિર્ણયને કારણે 70 હજાર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને દેશનિકાલનો ખતરો છે.
કેનેડામાં એક વિદ્યાર્થી સંગઠન, યુથ સપોર્ટ નેટવર્કના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે કે આ વર્ષે તેમની વર્ક પરમિટની સમયસીમા સમાપ્ત થયા પછી તેઓને ભારતમાં મોકલી દેવામાં આવી શકે છે.
પહેલા વિદેશીઓને આવકાર્યા હતા
મજૂરોની અછતને પહોંચી વળવા કેનેડાની સરકારે અસ્થાયી વિદેશી કામદારો માટે એક કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ અંતર્ગત મોટી સંખ્યામાં વિદેશીઓને વર્ક પરમિટ આપવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, 2019થી વર્ક પરમિટમાં લગભગ 88 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે વર્ષ 2023માં 1 લાખ 83 હજારથી વધુ પરમિટ આપવામાં આવી હતી.
કેનેડાના રોજગાર અને સામાજિક વિકાસ સંગઠન (ESDC) એ સરકારની આ નીતિનો સખત વિરોધ કર્યો હતો. આરોપ છે કે તેના દ્વારા સ્થાનિક લોકોની અવગણના કરવામાં આવી અને તેમની જગ્યાએ અન્ય દેશોના લોકોને નોકરી આપવામાં આવી.
આવતા વર્ષે છે કેનેડામાં ચૂંટણી
ઈમિગ્રન્ટ્સની વધતી જતી વસ્તી અને સ્થાનિક લોકો માટે રોજગારનો અભાવ ટ્રુડો સરકાર માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. આવતા વર્ષે કેનેડામાં ચૂંટણી યોજાવાની છે, તેથી કાયમી લોકો માટે રોજગાર અને આવાસનો અભાવ એક મોટો ચૂંટણી મુદ્દો બની શકે છે. આ કારણે ટ્રુડો સરકાર અસ્થાયી નિવાસીઓ અને વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવા માંગે છે.


