- જમ્મુ કાશ્મીરથી લઇને પાકિસ્તાન સુધી અનુભવાયો ભૂકંપ
- 5.4ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપ
- સદનસીબે કોઇ જાનહાનિ નહી
જમ્મુ-કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. સદનસીબે હાલમાં કોઇ કોઈ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યુ નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હતું. અફઘાનિસ્તાનમાં રાત્રે 11:26 કલાકે 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
અહીં પણ ધરા ધ્રુજી
અફઘાનિસ્તાન ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનના ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી, સરગોધા, ફૈસલાબાદ અને આસપાસના વિસ્તારોમાં ધરતી ધ્રૂજી ગઈ. અહીં ભૂકંપની તીવ્રતા 5.4 આંકવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
8 દિવસ પહેલા પણ અહીં ધરતી ધ્રૂજી હતી
મહત્વનું છે કે આ બંને જગ્યાએ થોડા દિવસ પહેલા જ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બારામુલ્લામાં 20મી ઓગસ્ટે વહેલી સવારે ધરતી ધ્રૂજી ઉઠી હતી. સાંજે 6.45 કલાકે 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે કોઈ જાન-માલને નુકસાન હોવાના સમાચાર નહોતા. બીજી તરફ અફઘાનિસ્તાનમાં દરરોજ ભૂકંપના સમાચાર આવતા રહે છે.
ઝોન-5માં આવે છે કાશ્મીર ઘાટી
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) અનુસાર, કાશ્મીર ખીણ ભૂકંપ ઝોન 5 માં આવે છે. ભૂકંપના જોખમને લઈને ભારતને ચાર પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું છે. આ ઝોનમાંથી, ઝોન 5માં સૌથી વધુ સિસ્મિક જોખમ છે અને ઝોન 2માં સૌથી ઓછું જોખમ છે. કાશ્મીર ખીણ અને ડોડા જિલ્લાના તમામ જિલ્લાઓ સિસ્મિક ઝોન 5 માં આવે છે અને બાકીના જિલ્લાઓ સિસ્મિક ઝોન 4 માં આવે છે. જમ્મુ-કાશ્મીરમાં 2005માં મોટો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 7.6 હતી, જેણે ભારે તબાહી સર્જી હતી. આ વિનાશ મોટાભાગે સરહદી ગામોમાં થયો હતો, ખાસ કરીને બારામુલ્લા અને કુપવાડા જિલ્લામાં.


