વિસર્જન પૂર્વે તમામ શણગાર દૂર કરવો ફરજીયાત : ઘોંઘાટ કરવા પર પ્રતિબંધ
આવતીકાલથી રાજકોટ શહેરમાં 3૦૦થી પણ વધુ પંડાલોમાં દુંદાળા દેવ ગણેશ વાજતે-ગાજતે બિરાજમાન થનાર છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમુક જાળવવા લાયક નિયમો અંગેનું પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ જાહેરનામામાં મૂર્તિની હાઇટ નક્કી કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે આ જાહેરનામામાંથી મૂર્તિ હાઇટનો છેદ જ ઉડાડી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત વિસર્જન પૂર્વે મૂર્તિ પરનો તમામ શણગાર દૂર કરવાનો રહેશે અને ચોક્કસ સ્થળોએ જ વિસર્જન કરવાનું રહેશે અને વિસર્જન સમયે ઘોંઘાટ કરવાનો રહેશે નહી. તે તમામ મુદાઓ જાહેરનામામાં આવરી લેવામાં આવ્યા છે.
ગણેશ સ્થાપન અને વિસર્જન સુધીનું નિયમો દર્શાવતું પોલીસ કમિશનરનું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે જાહેરનામાનો આવતીકાલ રાત્રિના 12થી તા. 18ની રાત્રિના 12 સુધી અમલમાં રહેનાર આ જાહેરનામા મૂજબ (1) ગણેશ વિસર્જનના સરઘસ માટે પૂર્વ મંજુરી લેવાની રહેશે (2) આજી ડેમ ઓવરફ્લો પાસે 3, પાળ ગામ પાસે ન્યારાના પાટિયા પાસે, વાગુદડના પાટિયા પછીના પૂલ નીચે કાલાવડ રોડ, આજી ડેમ પાસે રવિવારી બજારવાળુ ગ્રાઉન્ડ એમ 7 સ્થળો પૈકીના કોઈ સ્થળે જ વિસર્જન થઈ શકશે (3) વિસર્જનની જગ્યાએ તળાવો,ખાણ,નદીમાં સિન્થેટીક લાઈનર (કપડું) ગોઠવવાનું રહેશે અને વિસર્જનના 48 કલાક (બે દિવસ) બાદ બહાર કાઢવાનું રહેશે તથા ફટકડી નાંખવાની રહેશે (4) વિસર્જન યાત્રા દરમિયાન આવતા જતા રાહદારીઓ,લોકો પર રંગ છાંટી શકાશે નહીં (5) ગણેશોત્સવ સ્થળે ધ્વનિ પ્રદુષણ નિયંત્રણનું ધ્યાન રાખવાનું રહેશે, અર્થાત્ ઘોંઘાટ પર પ્રતિબંધ. વોલ્યુમ ધીમુ રાખવાનું. (6) ગણેશ વિસર્જન બાદ એક દિવસ કરતા વધુ સમય મંડપ રાખી શકાશે નહીં. (7) વિસર્જીત થયેલી મૂર્તિને કોઈ પણ ઈસમો દ્વારા બહાર કાઢી શકાશે નહીં ( 8) ધાર્મિક લાગણી, સદભાવના જળવાય અને જાહેરમાર્ગ પર ટ્રાફિકને અડચણ ન થાય તેનું ધ્યાન રાખવાનું વગેરે નિયમો જારી કરાયા છે.