ગીરગઢડાના ફાટસરની શાળાના શિક્ષકને આપી યાદગાર વિદાય
શણગારેલા બળદગાડે નગરયાત્રા, શાળા-ગ્રામજનોએ શિક્ષકનું કર્યું ઋણ-અભિવાદન
અગ્ર ગુજરાત, ઉના
જ્યાં અક્ષરની જ્યોત પ્રગટાવી, જ્યાં બાળકોના ભવિષ્ય ઘડ્યા, એ કર્મભૂમિ ફાટસરને આજે પોતાના વ્હાલસોયા ગુરુજી પાઠક ધનેશકુમારે અશ્રુભીની આંખે અલવિદા કહી. વર્ષ 2004થી 2026 સુધી સતત 22 વર્ષ ફાટસર પ્રાથમિક શાળામાં જ્ઞાનદીપ પ્રજ્વલિત રાખનાર શિક્ષક ધનેશકુમાર પાઠકનો વિદાય સન્માન સમારોહ લાગણીના અમીછાંટણા વચ્ચે યોજાયો.
ફાટસર શાળા એસ.એમ.સી અને ગ્રામજનોએ ગુરુઋણ અદા કરવાનો અનોખો નજારો સર્જ્યો. ફૂલ-તોરણોથી શણગારેલા બળદગાડામાં પાઠક ને બિરાજમાન કરી, ઢોલ-નગારાના નાદ સાથે તેમને સમગ્ર ફાટસર ગામમાં ફેરવવામાં આવ્યા. જે શેરીઓમાં તેઓ રોજ વિદ્યાર્થીઓને ભણાવવા જતા, તે જ શેરીઓ આજે તેમના સન્માનમાં હિલોળે ચઢી હતી. ગ્રામજનો ની આંખો હરખ અને હેતથી છલકાઈ ગઈ.
ફાટસર પ્રાથમિક શાળા પરિવાર દ્વારા ગુરુવર્યને નાળિયેર-સાકરનો શુભ પડો અર્પણ કરી મંગલઆશિષ પાઠવવામાં આવ્યા. શાળા પરિવારે સન્માનપત્ર અને સોનાની વીંટી ભેટ સ્વરૂપે અર્પણ કરી તેમની 22 વર્ષની નિષ્ઠાવાન સેવાને વધાવી.ભૂતપૂર્વવિદ્યાર્થીઓ,ગ્રામજનો તથા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ-મહામંત્રીએ પાઠક ભાઈના શૈક્ષણિક કાર્યકાળની સુવર્ણસ્મૃતિઓવાગોળી, તેમની વિદ્યાર્થીપ્રિયતા, શિસ્ત અને સમર્પણનેબિરદાવ્યું. ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએપણભાવપૂર્વક તેમનું સન્માન કર્યું.
વિદાયવેળાએ પણ ગુરુએ પોતાનું વાત્સલ્ય વરસાવ્યું. પાઠક દ્વારા શાળાના તમામ બાળકો અને ઉપસ્થિત ગ્રામજનો માટે ભાવભીના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી એટલું જ નહીં તેમણે શાળાપરિવારને₹21,000 ની શૈક્ષણિક વસ્તુઓનું દાન અર્પણ કરી વિદ્યાદાનનો યજ્ઞ અવિરત રાખ્યો.
શાળા પરિવારે ભાવવિભોર થઈ જણાવ્યું કે, પાઠક એ માત્ર ભણાવ્યું નથી, ઘડ્યા છે. તેમણે વર્ગખંડને સંસ્કારધામ બનાવ્યું. તેમનું સમર્પણ, તેમની લાગણી અને તેમનો નિઃસ્વાર્થ ભાવ ફાટસર શાળા ક્યારેય ભૂલી શકશે નહીં. તેમનું કાર્ય હર હંમેશ અમારા માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. 22 વર્ષ સુધી જ્ઞાનનીસરવાણી વહાવી, હજારો બાળકોના જીવનમાં ઉજાસ પાથરનાર ગુરુજીની વિદાયથી આખું ફાટસર ગામ ભાવુક બની ગયું. બળદગાડે નીકળેલી આ યાત્રા માત્ર એક શિક્ષકની વિદાય ન હતી, તે એક યુગના સમર્પણનું, એક ગુરુના ત્યાગનું અને સમગ્ર ગામના ઋણસ્વીકારનું જીવંત પ્રતિક બની રહી.


