વિદ્યાર્થીઓમાં ગુનાખોરીનું ભયજનક પ્રમાણ : મિત્રનું બાઈક અથડાવવા પ્રશ્ને થયેલી માથાકૂટમાં વચ્ચે પડેલા ગોંડલના છાત્રને સ્કોર્પિયોમાં ઉઠાવી જઈ અલગ અલગ સ્થળે લઈ જઈ માર માર્યો
રાજકોટના બહારના ભાગે હાઇવે પર આવેલી કોલેજોમાં વિદ્યાર્થીઓ હવે અભ્યાસની સાથે ગુનાખોરીના પણ પાઠ ભણી રહ્યા છે. નાની એવી બાબતમાં થતા ઝગડાઓમાં ગુનાખોરીના રસ્તે નીકળી પડે છે. તે પ્રકારનો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ભાવનગર રોડ પર આવેલી આરકે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક છાત્રનું બાઈક અથડાયું હતું અને તેનો ઝઘડો ચાલી રહ્યો હતો ત્યારે તે યુવકનો મિત્ર એવો ગોંડલનો છાત્ર ઝઘડામાં વચ્ચે પડ્યો હતો જેનો ખાસ રાખી કોલેજના બે પૂર્વ છાત્રો અને નામચીન શખ્સ જુસબ ધારાગઢીના પુત્ર સહિત પાંચ શખ્સોની ટોળકીયે યુવકને કોલેજના ગેટેથી ઉઠાવી જઇ સ્કોર્પિયો કારમાં અલગ અલગ સ્થળોએ ફેરવી માર મારી સમાધાન માટે દોઢ લાખની ખંડણી માગી હતી એટલું જ નહીં છાત્રનો ફોન ઝૂંટવી ગૂગલ પે થી ₹200 પણ પડવી લીધા હતા અને યુવકે ભાડે લીધેલી અર્ટિકા કારમાં પણ તોડફોડ મચાવી 25 હજારનું નુકસાન કર્યું હતું. બાદમાં મુક્ત થયેલા છાત્રએ માતા પિતાને વાત કરી આજીડેમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે પોલીસે અપહરણ કરી માર મારી ખંડણી માંગી, કારમાં તોડફોડ કરનાર ટોળકીને ઝબ્બે કરવા કવાયત શરૂ કરી છે.
સમગ્ર ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ ગોંડલના ગુંદાળા રોડ પર ગંગોત્રી સ્કૂલ પાસે રામકૃષ્ણનગર 3માં રહેતા અને રાજકોટની આર.કે કોલેજમાં બીએસસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા કૃણાલ માનસિંગભાઈ વાઢેર ઉ.વ.19 નામના યુવકે નામચીન શખ્સ જુસબ ધારાગઢીના પુત્ર મુસ્તાક, વત્સલ જીતુભાઈ વેકરીયા, ગૌતમ, મંગલ પરમાર અને એક અજાણ્યા સહિતની ટોળકી સામે અપહરણ, મારામારી, ખંડણી માગવી, લૂંટ, તોડફોડ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદમાં કૃણાલે જણાવ્યું હતું કે, સાતમ આઠમના તહેવાર ઉપર મિત્ર ધૃવિલ પરમારનું બાઈક કોલેજમાં ભણતા સિબતેન હેરાંજાના મિત્ર રેહાનના બાઈક સાથે અથડાયું હતું ત્યારે ઝઘડો ચાલતો હોય જેમાં પોતે વચ્ચે પડતા રેહાન સાથે બોલાચાલી થઈ હતી.તેનો ખાર રાખી સોમવારે બપોરના સમયે પોતે આરકે યુનિવર્સિટીના ગેટ પાસે ઉભો હતો ત્યારે આ કોલેજમાં જ ભણતો પ્રિયાંશુસિંહ રાઠોડ એકટીવા લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે સિબતેને સાથે તારું સમાધાન કરી નાખીએ અને તે લોકો તારી અર્ટિકા કાર લઈ ગયા છે તે પણ લેતા આવીએ. જેથી કૃણાલ પ્રિયાંશુ સિંહના એકટીવા ની પાછળ બેસી ગયો હતો અને તે એકટીવા ગઢડા ગામ તરફ જતા રોડ પર બાલાજી હોસ્ટેલના રોડની સામે ખુલી જગ્યામાં અટકાવી દીધું હતું ત્યારે કાળા રંગની નંબર પ્લેટ વગરની બે સ્કોર્પિયો કાર આવી હતી અને તેમાં મુસ્તાક તથા અગાઉ આરકે કોલેજમાં જ અભ્યાસ કરતો વત્સલ જીતુભાઈ વેકરીયા, ગૌતમ અને અજાણ્યો શખ્સ ઉતર્યા હતા અને તેઓએ કહ્યું હતું કે તું કેમ મારા છોકરાઓને બધી જગ્યાએ આડા પગે આવે છે. જેથી કૃણાલે પોતે ક્યાંય આડો પગ કરતો નથી તેમ જણાવતા મુસ્તાક અને તેની સાથેના અજાણ્યા શખ્સે આડેધડ ફડાકા મારી માર માર્યો હતો. ત્યારે પ્રિયાંશુસિંહ વચ્ચે પડ્યો હતો અને સમાધાન કરવાની વાત કરી હતી. જેથી મુસ્તાકે સમાધાન તો કરવું છે પરંતુ પહેલા મારે મારો દાવ લેવો છે તેમ કહી પ્રિયાંશુસિંહને ધક્કો મારી કૃણાલને સ્કોર્પિયો કારમાં બેસાડી કારને અહંકારી મૂકી હતી રસ્તામાં આ શખ્સોએ જો સમાધાન કરવું હોય તો રૂપિયા દોઢ લાખ આપવા પડશે નહિતર તારી ખેર નથી આટલું કહી કારને ભાવનગર રોડ પર કોલેજથી થોડે દુર ઉભી રાખી દેવાઇ હતી. તે અરસામાં બીજી સ્કોર્પિયો આવી હતી અને તેમાં અગાઉ કોલેજમાં ભણતો મંગલ પરમાર ઉતર્યો હતો. તેણે પણ કૃણાલ ને કહ્યું હતું કે આ ઝઘડા નું સમાધાન કરવું હોય તો દોઢ લાખ રૂપિયા આપવા જ પડશે. પરંતુ કૃણાલે તેની પાસે નાણા નહીં હોવાનું જણાવતા મંગલ પરમારે તેનો મોબાઇલ ફોન ઝુંટવી લીધો હતો અને તેના ગૂગલ પે માંથી 200 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આરસમા કૃણાલની સાથે કોલેજમાં અભ્યાસ કરતો તેનો ફઈ નો દીકરો ચિંતન નંદાભાઈ લાખ્રોણા અને મિત્ર યસ અરવિંદભાઈ ખુંગ્લા ત્યાં દોડી આવ્યા હતા તે સમયે પણ મંગલે બંનેને કહ્યું હતું કે સમાધાન માટે દોઢ લાખ રૂપિયા તો આપવા જ પડશે નહિતર આને નીચે નહીં ઉતારીએ. પરંતુ ચિંતને આટલા બધા રૂપિયા નહીં હોવાનું જણાવતા કારને જંગલેશ્વર તરફ હંકારી મૂકી હતી.
આ અરસામાં કૃણાલના પિતાનો ફોન આવ્યો હતો પરંતુ તેને કોઈ વાતની ખબર પડવા દીધી ન હતી. બાદમાં બનેવી જયદીપસિંહ ચુડાસમાનો ફોન આવતા તેમને આ બધી બાબત જણાવતા મુસ્તાકે તુરંત ફોન જુટવી લીધો હતો અને ગાડીને જંગલેશ્વરની એક બાજુ ઉભી રાખી ધમકી આપીને એવું બોલાવડાવ્યું હતું કે, કૃણાલે 1.50 લાખ રૂપિયા ઉછીના લીધા છે અને તે હું બે દિવસમાં પાછા આપી દઈશ. તેનું રેકોર્ડિંગ કરી કૃણાલને અમુલ સરકાર પાસે ઉતારી દેવાયો હતો અને તેની અર્ટિકા કાર પણ આપી દેવામાં આવી હતી. પરંતુ આ શખ્સોએ કારમાં પણ તોડફોડ કરી 25,000 નું નુકસાન પહોંચાડ્યું હતું. બાદમાં કોલેજે પહોંચતા ત્યાં પિતા અને બનેવી આવી પહોંચ્યા હતા. જેથી તેઓને તમામ હકીકત વર્ણવતા તમામ લોકો આજીડેમ પોલીસ મથકે દોડી ગયા હતા. જ્યાં પીઆઇ એ બી જાડેજાને ઘટના સંદર્ભે વાત કરતા તેમણે આ તમામ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.