ભીલવાસ ચોકમાં પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ગેસનો ફૂંવારો છૂટયો
ધમધમતા વિસ્તારમાં ઘટના બનતાં સ્થાનિકોમાં અફરા-તફરીનો માહોલ : તંત્રમાં દોડધામ મચી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના ભીલવાસ ચોકમાં આજે બપોરના સમયે રીપેરીંગ વખતે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ગેસના ફૂંવારા છૂટયા હતાં. આ ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. ભંગાણ સર્જાતા તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી અને તાત્કાલીક ઘટના સ્થળે અધિકારીઓ દોડી આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં કેટલાક લોકોના ટોળા પણ એકઠાં થયા હતાં.
મળતી વિગત મુજબ ભીલવાસ ચોકમાં છેલ્લા એકાદ પખવાડીયાથી રોડ ખોદી નાંખવામાં આવ્યો છે અને પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી રહી છે. એક પખવાડીયાથી ચાલતી કામગીરીના કારણે સ્થાનિક લોકોને પણ ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે હનુમાનજીના મંદિર પાસે ગેસની લાઇનમાં સમારકામની કામગીરી દરમિયાન ભંગાણ સર્જાયુ હતું અને તેના કારણે ગેસનો પ્રવાહ છુટયો હતો અને વાતાવરણમાં ફેલાયો હતો. આ કારણે આજુબાજુના લોકોમાં અફરા-તફરી મચી ગઇ હતી અને લોકો ભયગ્રસ્ત જોવા મળ્યા હતાં.
આ ઘટનાની જાણ થતાં તંત્રના અધિકારીઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને પાઇપલાઇનની મરમ્મત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને નહી પારખનાર કેટલાક લોકોના ટોળા પણ ત્યાં એકઠાં થયા હતાં. આ ટોળાઓને તંત્ર દ્વારા વિખેરવામાં આવ્યા હતાં અને પાઇપલાઇનની સફળતાપૂર્વક સમારકામની કામગીરી કરી હતી.
હાલ મોર્હરમનો તહેવાર ચાલી રહ્યો છે. મુસ્લિમ બિરાદરો દ્વારા ત્યાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. પરંતુ તંત્ર દ્વારા પખવાડીયાથી રોડ ખોદી નાંખવામાં આવ્યો છે. જેના કારણે ત્યાં ધૂળની ડમરીઓ અને ગંદકી પણ જોવા મળી રહી છે. આ શેરીમાંથી દૈનિક હજારો વાહનો અવર-જવર કરી રહ્યાં છે. જેના કારણે પણ સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પાઇપલાઇનની ચાલતી કામગીરી મોહર્રમ પહેલા પૂરી કરવામાં આવે તેવી અનેક વખત રજુઆતો કરવામાં આવી હતી. છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી અને આજે આ ગંભીર ઘટના બની હતી. જેથી સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.


