કટારીયા ચોકડીના બ્રિજની બાજુમાં આવાસ બનશે, હેતુ ફેર નહી કરાઇ : સ્ટે.ચેરમેન
ભાજપના બે આગેવાનોએ આવાસ યોજનાનું સ્થળ બદલાવવા પ્રપોઝલ મૂકતા સ્ટેન્ડિંગ ચેરમેનની સ્પષ્ટ વાત
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના કાલાવડ રોડ ઉપર કટારિયા ચોકડી ખાતે ઓવરબ્રિજનું કામ ચાલુ છે અને બ્રિજની બાજુના પ્લોટ ઉપર તૈયાર થનાર આવાસ યોજના માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થવામાં છે.
ત્યારે સોમવારના રોજ ભાજપના બે આગેવાનોએ આ આવાસ યોજનાનું સ્થળ બદલવા માટે પ્રપોઝલ મૂકી મુખ્ય રોડ ઉપર આવાસ યોજનાનો વિરોધ કરી આ યોજના માટે હેતુફેર કરવામાં આવે તેમ જણાવ્યું હતું. પ્રપોઝલ રદ કરી આ યોજના સરકારમાં મંજૂર થઈ છે ત્યારે હેતુફેર કરવાનો સવાલ જ નથી. ટેન્ડર રદ નહીં થાય તેમ સ્ટે.ચેરમેને જણાવ્યું છે.
શહેરના કાલાવડ રોડ ઉપર કટારિયા ચોકડી પાસે ટીપી સ્કીમ નંબર 10ના ફાઇનલ પ્લોટ નંબર 75 ઉપર 576 આવાસ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ શહેર મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા અને કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરિયાએ સ્ટેન્ડિંગ ચેરમેનને પ્રપોઝલ રજૂ કરી હતી.
જે મુજબ મુખ્ય રોડ ઉપર તૈયાર થનાર આવાસ યોજનાને અન્ય પ્લોટ પર ખસેડી મેઇન રોડ ઉપર અન્ય પ્રોજેક્ટ માટે રાખવામાં આવે અને તેના માટે સરકારમાં રજૂઆત કરી પ્લોટ હેતુફેર કરવામાં આવે તેમ જણાવ્યું છે. હાલ આ મુદ્દે આગામી દિવસોમાં જરૂર હશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ ચેરમેને જણાવ્યું હતું.
કટારિયા ચોકડી પાસે આવાસ યોજના મંજૂર થઈ ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થવામાં છે ત્યારે જ સમાકાંઠાના એક પૂર્વ કોર્પોરેટર અને હાલના કોર્પોરેટરે અન્ય વિસ્તારની આવાસ યોજનાનો વિરોધ કર્યો છે.
ત્યારે આ વિસ્તારમાં અન્ય પ્લોટધારકો કે બિલ્ડરોને આવાસ યોજના અન્ય સ્થળે ખસેડવાથી લાભ મળવાની સંભાવના જોવાઈ રહી હતી, છતાં આવાસ યોજના કોઈ પણ સ્થળે થાય ફેર પડતો નથી પણ મુખ્ય રોડ ઉપર ફાયર સ્ટેશન કે અન્ય ઉપયોગી પ્રોજેક્ટ બનાવવામાં આવે તો તેનો વધુ લાભ મળી શકે તેવું બહાનું બતાવવામાં આવ્યું હતું, પરતુ પ્રપોઝલના નામે થયેલ ભેદી રજૂઆત ફગાવી દેવામાં આવી છે.


