IPL 2025 મેગા ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફિલ સોલ્ટ, ભુવનેશ્વર કુમાર અને કૃણાલ પંડ્યા જેવા ઘણા મહાન ખેલાડીઓને ખરીદ્યા. તે પહેલા ટીમે તેના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને બહાર કરી દીધો હતો. જે બાદ મોટો સવાલ એ ઊભો થયો છે કે નવી સિઝનમાં RCBનો આગામી કેપ્ટન કોણ હશે?
એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે વિરાટ કોહલી ફરી એકવાર RCBનો કેપ્ટન બની શકે છે, પરંતુ ફ્રેન્ચાઈઝી દ્વારા હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ માહિતી જાહેર કરવામાં આવી નથી. જ્યારે RCBએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ પોસ્ટ શેર કરી છે. જે બાદ ફેન્સને લાગે છે કે કૃણાલ પંડ્યા RCBનો નવો કેપ્ટન બની શકે છે.
શું કૃણાલ બનશે નવો કેપ્ટન?
RCBએ કૃણાલ પંડ્યાની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં પંડ્યા RCBની જર્સીમાં જોવા મળી રહ્યો છે. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “ટોપ ‘K’ અહીં છે, પંડ્યા પાસે ટેલેન્ટ છે. તમે તેને પહેલેથી જ જાણો છો.” RCBએ મેગા ઓક્શનમાં કૃણાલ પંડ્યાને 5.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જે બાદ ફેન્સ પણ આ ખેલાડીને RCBના નવા કેપ્ટન તરીકે જોઈ રહ્યા છે. જ્યારે કૃણાલ પંડ્યા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બરોડા ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. અગાઉ કૃણાલ આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમી રહ્યો હતો.
આ ખેલાડી પણ બની શકે છે કેપ્ટન
આ વખતે RCBએ મેગા ઓક્શનમાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભુવનેશ્વરને RCBએ 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આવી સ્થિતિમાં ભુવનેશ્વર કુમારને પણ RCBના નવા કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. ભુવી આ પહેલા આઈપીએલમાં 8 મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે, હવે જોવાનું એ રહે છે કે RCB નવી સિઝનમાં આ મોટી જવાબદારી કોને આપે છે.


